રાજકોટ
News of Monday, 25th January 2021

સંયમ અનુમોદનાના આજના બીજ, ભવિષ્યમાં સ્વયંની આરાધનાનું વટવૃક્ષ બની જાયઃરાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ. સા.

જુનાગઢ ખાતે ૧૪ ફેબ્રુઆરીએ યોજાનાર નવ આત્માઓના કલ્યાણ મહોત્સવની દીક્ષા પત્રિકાનું મંગલ આલેખન યોજાયું

રાજકોટ, તા.૨૫: દરેક શુભ અવસરે ઉપકારિઓ આપણને વારંવાર સ્મરણમાં આવતા હોય અને આ જિનશાસન પર તીર્થંકર ભગવંતોનો, ગણધર ભગવંતોનો, આચાર્ય ભગવંતોનો અને કેટલાય ગુરુવર્યોનો મહાઉપકાર છે, આ ભાવો સાથે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા.ના પરમ શરણમાં આગામી ૧૪ ફેબ્રુઆરીએ જૈન દીક્ષા અંગીકાર કરવા થનગની રહેલા નવ-નવ આત્માઓના શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવની આમંત્રણ પત્રિકા આલેખનનો અવસર ગિરનારની ધરા પર મંગલતા પ્રસરાવી ગયો હતો.

મુમુક્ષુ ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુષીબેન મહેતા, મુમુક્ષુ નિધિબેન મડીયા, મુમુક્ષુ મિશ્વાબેન ગોડા તેમજ મુમુક્ષુ દિયાબેન કામદારના શ્રી ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે આયોજિત કરવામાં આવેલાં આત્મયાત્રા દીક્ષા મહોત્સવની આમંત્રણ પત્રિકા આલેખનના આ શુભ અવસરે લાઈવના માધ્યમે દેશ-વિદેશના હજારો ભાવિકો જોડાઈને ધન્ય બન્યાં હતાં.

ઉંચેરા ગિરનારની પાવન ધરા પર ગુરુવર્યોના જયકાર અને દીક્ષાર્થીઓના પ્રવેશ વધામણાં બાદ દરેક શુભ કાર્યમાં ગુરુવાર્યોના આશીર્વાદની મહત્તા દર્શાવતા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે ફરમાવ્યું હતું કે, દરેક સધ્કાર્યમાં ગુરુવર્યોની ઉપસ્થિતિ આપણી મનસ્થિતિને ગુણમય બનાવી દે છે. ગુરુવર્યોની ભાવ ઉપસ્થિતિ માત્ર પણ આપણી અંતરમાં રહેલા અહમ અને મમના અવગુણોને દૂર કરી દે છે. એકવાર જેમનો આત્મા જાગૃત થઈ ગયો હોય પછી એમની માટે સંસારમાં એક ક્ષણ પણ રહેવું આકરું થઈ જતું હોય છે. સંસાર અને સંસારિઓ વચ્ચે રહેવા છતાં એમના દિલની અલિપ્તતા સંયમભાવોની દ્રઢતાનું દર્શન કરાવતી હોય છે. જે સંયમના માર્ગ પર આજ સુધી અનેક આત્માઓએ પ્રયાણ કરીને આત્મકલ્યાણ કર્યું છે, એ જ સંયમ માર્ગની પ્રેરણા અનેકોને આપવા માટે આજનો અવસર આવ્યો છે. આ અવસરે સંયમની એવી અનુમોદના કરી લઈએ કે ભવિષ્યમાં આપણાં સંયમના બીજ રોપાઈ જાય. આજે આ અવસરને નિહાળીને સંકલ્પ કરી લઈએ કે, મિંચાતી આંખ પહેલા દેહ પર પ્રભુની પછેડી હોય અને નયનોમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ છલકાતો હોય. આજની અનુમોદનાના બીજ ભવિષ્યમાં આપણી આરાધનાનું વટવૃક્ષ બને એવી મંગલ ભાવના ભાવીએ.

દીક્ષાર્થીના માતા પિતા અને અનેક સેવાભાવી ભાવિકોના હસ્તે આદ્ય ગુરૂવર્યોને દીક્ષા મહોત્સવમાં આમંત્રણ આપતાં મંગલ આલેખન કરવામાં આવતાં સર્વત્ર હર્ષ-હર્ષ છવાયો હતો.

નવ-નવ આત્માઓના ભવોભવનું કલ્યાણ કરાવી દેનારા શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના અનેકવિધ મંગલમય કાર્યક્રમો તા.૨૮ થી ૧૪.૦૨ સુધી આયોજિત કરવામાં આવ્યા છે. અઢાર દિવસ સુધી ગિરનારની ધરાને ગુંજાવનારા આ મહોત્સવનો શુકનવંતો પ્રારંભ તા.૨૮ના 'આત્મ સંગ્રામની દેવ દુંદુભિ'સ્વસ્તિક વિધિથી કરવામાં આવશે. મહોત્સવના આયોજિત દરેક કાર્યક્રમમાં દેશ-વિદેશના અનેક શ્રી સંદ્યો સાથે દરેક ધર્મપ્રેમી ભાવિકોને લાઇવ પ્રસારણના માધ્યમે જોડવવાનું આમંત્રણ આપવામાં આવ્યું છે.

(11:32 am IST)