રાજકોટ
News of Saturday, 25th January 2020

જીવન ઘડતરમાં પુસ્તકોનું પ્રદાન અમૂલ્ય : વિજયભાઈ રૂપાણી

પુસ્તક મેળાની મુલાકાત જાત્રા સમાન છે : પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા * સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ ખાતે પુસ્તક મેળો અને સાહિત્ય ફેસ્ટીવલનો પ્રારંભ : પુસ્તકપ્રેમીઓ ઉમટી પડ્યા

રાજકોટ, તા.૨૫ : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે ઉત્સાહભર્યા માહોલમાં રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે બહુઆયામી પુસ્તક મેળાનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ પોતાની સંવેદનશીલ અને ઋજુ પ્રકૃતિની પ્રતીતિ કરાવતાં કહ્યું હતું કે રાજકોટ ખાતે થઇ રહેલી રાષ્ટ્રીય પર્વની ઉજવણી અન્વયે પુસ્તક મેળાના આયોજનથી સોનામાં સુગંધ ભળી છે. આ મેળામાં પ્રદર્શિત થનારા વિવિધ પુસ્તકોમાંથી કોઇ પણ વર્ગનો વાચક પોતાની રુચિ મુજબનું કશુંક તો પામી જ શકશે, એમ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, જે લોકશાહીમાં પ્રજા શિક્ષિત હશે, તે પ્રજા જ સમૃદ્ઘ લોકશાહીની સર્જક બનવા શકિતમાન બનશે. આ માટે તેમણે પોતાના શાસક પસંદ કરવાની નાગરિકોની શકિતના સ્રેત તરીકે પુસ્તકોના મહત્વ પર ભાર મુકયો હતો.

જીવન ઘડતરમાં પુસ્તકોનું પ્રદાન અમૂલ્ય હોવાનો મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ આ પુસ્તકમેળામાં સાનંદ સ્વીકાર કર્યો હતો. અને પુસ્તક વાંચનને પરિણામે પોતાના જીવનમાં થયેલા સત્વશીલ પરિવર્તનની ટૂંકી ગાથા પણ આલેખી હતી.

શ્રી રૂપાણીએ ભવિષ્યના ભારતના નિર્માણ માટે આ પુસ્તક મેળો સીમાચિહ્રન રૂપ સાબિત થવાનો આશાવાદ વ્યકત કર્યો હતો. અને પુસ્તકોથી થતા અપ્રત્યક્ષ લાભો પર પ્રકાશ પાડતાં કહયું હતું કે, આજના યુવાનોને વૈશ્વિક પડકારોનો સામનો કરવામાં, ઉમદા ચારિત્ર્યનું નિર્માણ કરવામાં, જ્ઞાન સંવર્ધનમાં અને શિક્ષીત-દીક્ષીત બનવામાં આ પુસ્તકમેળો મહત્વનો સાબિત થશે. 

પુસ્તકમેળામાં ઉપસ્થિત યુવાનોને આહવાન કરતાં મુખ્યમંત્રીશ્રીએ કહયું હતું કે, અત્રે ઉપસ્થિત યુવાનો આ મેળામાંથી પોતાના પરિવારના તમામ સભ્યો માટે એક-એક પુસ્તક ખરીદે તો ભવિષ્યની પેઢી તેમની સદા ઋણી રહેશે. આ પુસ્તકમેળા દરમ્યાન યોજાનારા વિવિધ વિષયો પરની વ્યાખ્યાન શ્રેણી, સમૂહ ચર્ચા, પરિસંવાદ વગેરેનો લાભ લેવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શહેરીજનોને અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતેના તેમના ભૂતકાળના સંસ્મરણો ભાવુક સ્વરે વાગોળ્યા હતા.

જાણીતા ભાગવત કથાકાર શ્રી રમેશભાઈ ઓઝાએ છાત્રોના જીવનમાં અભ્યાસ અને વાંચનનું મહત્વ સમજાવતાં વિવિધ પૈારાણિક દ્રષ્ટાંતો ટાંકયા હતા. વિદ્યાર્થીકાળમાં અભ્યાસેતર પ્રવૃત્ત્િ।ઓ અને સદવાંચન થકી ઉચ્ચ ભવિષ્યના નિર્માણ માટે પ્રવૃત્ત્। થવા તેમણે યુવા છાત્રોને હાકલ કરી હતી..

બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલને ખુલ્લો મૂકયા બાદ આર્શીવચન પાઠવતા પ.પૂ. રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું કે, પુસ્તક મેળાની મુલાકાત જાત્રા સમાન છે. સમજ અને સમાજ નિર્માણમાં સાહિત્યની ભૂમિકા અગત્યની છે. પુસ્તક સૌથી સારા અને સાચા સલાહકાર છે. પુસ્તક વિચારોનું દ્યડતર કરે છે. બાળકોએ ખાસ વાંચન કરવું જોઈએ એવું ભાઈશ્રી રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજકોટમાં થઇ રહેલી રાજયકક્ષાની પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસના પટાંગણમાં સૌરાષ્ટ્ર બુકફેર અને લિટરેચર ફેસ્ટિવલનાં શ્રીગણેશ થયા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ પ્રથમ ડોમ પાસે રીબીન કાપી પુસ્તક મેળાનો શુભારંભ કરાવ્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્વિમિંગ પુલ અને ઇન્ડોર શૂટિંગ રેન્જનું ડિજિટલ તકતી અનાવરણ વડે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી રૂપાણી તથા આમંત્રિતોના હસ્તે દીપ પ્રાગટ્યથી પુસ્તકમેળાનો વિધિવત શુભારંભ થયો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર, રાજકોટ મહાનગરપાલિકા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા અન્ય શહેર શ્રેષ્ઠ મુખ્યમંત્રીશ્રીનું બહુમાન કર્યું હતું.

મેયર શ્રી બીનાબેન આચાર્ય એ પુસ્તક મેળાના આયોજનની રૂપરેખા અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં કાર્યરત વિવિધ લાઇબ્રેરીઓની આંકડાકીય વિગતો આપી હતી

ગુજરાત સરકારના 'વાંચે ગુજરાત' અભિયાન અંતર્ગત તા.૨૫ થી ૨૯ જાન્યુઆરી દરમિયાન તરવરાટ સાહિત્ય સંધ્યા, શબ્દ સંવાદ, ઓથર્સ કોર્નર અને એન્ટરપ્રિન્યોર સાથે વાર્તાલાપ, સર્જન વર્કશોપ અને બાળકોને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે. આ બુકફેરમાંથી રાજકોટવાસીઓ વિખ્યાત પ્રકાશકોના અંદાજે ૨૫૦ થી વધુ બુકસ્ટોલમાંથી વિવિધ વિષયોને લગતા પુસ્તકો મેળવી શકશે. આ બુકફેરની લાઈવ અપડેટ www.saurashtrabookfair.in વેબસાઈટ ઉપરથી તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ના ઓફિશિયલ પેજ પરથી મળી શકશે.

આ કાર્યક્રમમાં મેયર શ્રીમતી બીનાબેન આચાર્ય, મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ લાખાભાઈ સાગઠીયા અને અરવિંદ ભાઈ રૈયાણી ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના અધ્યક્ષ શ્રી ધનસુખભાઇ ભંડેરી, અગ્રણી શ્રી નીતિનભાઈ,ભારદ્વાજ અંજલીબેન રૂપાણી, કમલેશભાઈ મીરાણી, કલેકટર રેમ્યા મોહન, શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ મ્યુનિસિપલ કમિશનર શ્રી ઉદિત અગ્રવાલ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સીન્ડીકેટ તથા સેનેટ સભ્યો, વિવિધ ભવનોના વડાઓ, છાત્રો તથા મોટી સંખ્યામાં સાહિત્યપ્રેમી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે આભારદર્શન ડો. રામાનુજે કર્યુ હતું.

આ બૂકફેરનાં ઉદ્દઘાટન સમારોહમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, પ.પૂ. રમેશભાઈ ઓઝા સાથે કાર્યક્રમ અધ્યક્ષ રાજકોટનાં મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, મુખ્ય મહેમાન પદે સુપ્રસિદ્ઘ સાહિત્યવિદ્દ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા, મોટીવેશનલ સ્પીકર ડો. વિવેક બિન્દ્રા, સૌ,યુનિ. કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેશાણી, કાર્યક્રમનાં મુખ્ય કોર્ડિનેટર સિન્ડીકેટ સભ્ય ડો. મેહુલભાઈ રૂપાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિસિપલ કમિશ્નર ઉદિતભાઈ અગ્રવાલ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા, નીલેશભાઈ સોની તેમજ સૌ.યુનિ.નાં સિન્ડીકેટ સભ્યશ્રીઓ, પ્રાધ્યાપકશ્રીઓ અને વિશાળ સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરાંત આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત રાજકોટ શહેરના સાંસદ મોહનભાઈ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત રાજય ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, નીતીનભાઈ ભારદ્વાજ, શ્રીમતિ અંજલીબેન રૂપાણી, રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, મનપા કમિશ્નર ઉદિત અગ્રવાલ, મુખ્ય મહેમાન તરીકે ઉ૫સ્થિત રહ્યાં હતા.

શબ્દ, સાહિત્ય અને કલાનો ત્રિવેદી સંગમ ગણાતી આપણી સૌરાષ્ટ્ર ધરા ફરી એકવાર અનન્ય એવા બુકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલના રંગે રંગાવા જઈ રહી છે. સવારે ૧૦થી રાત્રે ૧૦ વાગ્યા સુધી સતત કાર્યરત રહેનારા સાહિત્ય અને સંસ્કૃતિનાં આ મહોત્સવમાં અલગ-અલગ પ્રકારનાં વર્કશોપ અને વકતવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે. સર્જન વર્કશોપ, સાહિત્ય તરવરાટ સંઘ્યા, શબ્દસંવાદ, કિડસ વર્લ્ડ, ઓથર્સ કોર્નર, એન્ટરપ્રિન્યોરશીપ કોર્નર ઉ૫રાંતના અનેક સેસન્સ થકી સાહિત્ય કલાપ્રેમીઓની તૃષા સંતોષવા માટે વિવિધતાસભર કાર્યક્રમો ગોઠવાયા છે. જેમાં ગુજરાતભરમાંથી પોતપોતાના ક્ષેત્રનાં નિષ્ણાંતો તેમજ વકતાઓ હાજરી આપશે. આ ઉપરાંત વિખ્યાત પ્રકાશકોના ૧પ૦થી પણ વધુ બૂક સ્ટોલ, ફુડકોર્ટ બાળકો માટેના વિશેષ કાર્યક્રમો, સેલ્ફી પોસન્ટસ, કલા સાહિત્ય સમાજ જીવનના વિકાસને પ્રગટ કરતી કલાકૃતિઓ, સૌરાષ્ટ્રની ઝાંખી કરાવતું પેઈન્ટીંગ સહિતના પુષ્કળ આકર્ષણ કેન્દ્ર સાથે આગામી પાંચ દિવસનો ગાળો સૌરાષ્ટ્રની જનતા માટે તહેવાર સમાન પૂરવાર થશે. તમામ પુસ્તકપ્રેમી અને સાહિત્ય કલાનાં ઉપાસકોને સૌરાષ્ટ્ર બૂકફેર એન્ડ લિટરેચર ફેસ્ટિવલમાં આવવા માટેનું ખાસ આમંત્રણ આપવામાં આવ્યુ છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:39 pm IST)