ઇશ્વરીયા નજીક ટ્રેન હેઠળ કપાઇને માધાપરના વસંતબેન સોજીત્રાનો આપઘાત
માનસીક બીમારીથી કંટાળી પગલું ભર્યાનું ખુલ્યું
રાજકોટ તા. ર૪: ઇશ્વરીયા નજીક ફાટક પાસે ટ્રેન હેઠળ કપાઇને માધાપર ગામની મહિલાએ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ માધાપર ગામમાં રહેતા વસંતબેન તળસીભાઇ સોજીત્રા (ઉ.વ. પ૦) એ સવારે ઇશ્વરીયા નજીક ફાટક પાસે ટ્રેન હેઠળ કપાઇને આપઘાત કરી લીધો હતો. પરિવારજનો મહિલાને શોધતા હતા. દરમ્યાન ફાટક પાસે મહિલા કપાયેલી હાલતમાં જોવા મળતા તાકીદે પોલીસ મથકના પીએસઆઇ પી. કે. ક્રિશ્ચયન તથા રાઇટર મહેશભાઇ કછોટે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ મૃતક વસંતબેનના પતિ ખેતી કરે છે. તેને સંતાનમાં એક પુત્ર છે તે છેલ્લા ત્રણ વર્ષથી માનસીક બીમારીથી પીડાતા હતા, તેની સારવાર પણ ચાલુ હતી આથી તેણે બીમારીથી કંટાળી પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે.