હું મંદિર ન જઇ શકુ તો ચાલે, કેમ કે મારા ભગવાન દર્દી સ્વરૃપે હોસ્પિટલમાં છેઃ નર્સ શ્રીમતિ કૈલાસબેન
સિવિલમાં દર્દીઓને સાજા કરવામાં નર્સ બહેનોની સાચા અર્થમાં કર્મયોગી તરીકે સેવા
રાજકોટ,તા. ૨૪: ' કોરાનાની મહામારીમાં મારા માટે ઘર - પરિવાર પછી, પહેલા મારે મારી ફરજ પ્રત્યે સમર્પિત થવાનું છે. હું થોડા દિવસમંદિરે ન જઇ શકુ તો ચાલશે કારણ કે અત્યારના સમયમાં હોસ્પિટલ એ જ મારું મંદિર છે, દર્દી મારા ભગવાન છે. તેમના આશીર્વાદ એ મારા માટે પ્રસાદી છે.' આ શબ્દો રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં અવિરત સેવા કરતી નર્સ બહેન શ્રીમતી કૈલાસબેન રાઠોડના છે. તેઓ ૬ વર્ષની પુત્રીને ઘરે મુકીને કોરાનાના દર્દીઓની સારવાર માટે ફરજ બજાવી રહયાં છે. તેમના આ પ્રતિભાવમાં દર્દીઓ પ્રત્યેની ભારોભાર લાગણી છે. રાજકોટ કોવીડ હોસ્પિટલમાં નર્સ બહેનો સાચા અર્થમાં કર્મયોગીઓ તરીકે કામ કરી રહી છે. આ બહેનો કહે છે કે, કોરાના દર્દીઓ અમારા માટે ભગવાન સમાન છે. અમને ઇશ્વરે સેવા કરવાની તક આપી છે, તે મોટી વાત છે. પીડીયુ કોવીડ હોસ્પિટલમાં ૫૫૦ થી બહેનો નર્સીગ સ્ટાફમાં સેવા આપી રહી છે. દર્દીઓની સેવા અને સારવાર કરતા ૧૦૨ જેટલી નર્સીગ સ્ટાફની બહેનો પણ સંક્રમિત થયેલી છે. અને હાલ સ્વસ્થ થઇ ફરી સેવામાં લાગી ગઇ છે.