રાજકોટ રેલ્વે હોસ્પીટલ, કોલોની, સ્ટેશન ઉપર સઘન સફાઇ ઝુંબેશ
રાજકોટઃ રાજકોટ રેલ્વે ડીવીઝનમાં ૧૬ મી સપ્ટેમ્બરથી ર ઓકટોબર સુધી સ્વચ્છતા પખવાડીયું મનાવવામાં આવી રહયું છે. આ અંતર્ગત સમગ્ર રેલ્વે ડીવીઝનના સ્ટેશનો, કોલોનીઓ અને હોસ્પીટલમાં અને આસપાસ સફાઇ ઝુંબેશ આદરવામાં આવી છે. સિનીયર ડીવીઝનલ કોમર્શીયલ મેનેજર અભિનવ જૈફના જણાવ્યા મુજબ આ ઝુંબેશમાં રેલ્વે કર્મચારીઓ અને અધિકારીઓ પુરેપુરા ઉત્સાહથી શ્રમદાન આપી રહયા છે. ડીવીઝનના મુખ્ય આરોગ્ય અધિકારી ડો.એમ.આર.ચક્રવર્તી, કોમર્શીયલ અધિકારીઓ અવિનાશકુમાર, સહાયક મંડલ અધિકારી અનીલ શર્મા અને વેલ્ફેર ઇન્સ્પેકટરની ટીમોએ રાજકોટની કોઠી કંમ્પાઉન્ડ રેલ્વે કોલોનીના રહેવાસીઓને કોરોના અને વરસાદની સીઝનમાં થતી બિમારીઓ અને તેના બચાવ અંગે ઉપયોગી માર્ગદર્શન આપી જાગૃત કર્યા હતા. આ દરમિયાન સ્વસ્થ રહેવા માટે સારી આદતો અને પોતાની આસપાસની જગ્યાઓ ચોખ્ખી રાખવા જણાવાયું હતું. મચ્છરોથી ફેલાતી બિમારીઓને રોકવા રેલવે કોલોની અને સ્ટેશનો ઉપર જંતુનાશક દવાઓ અને એન્ટીલારવા સ્પ્રેનો છંટકાવ તેમજ ફોગીંગ કરવામાં આવ્યું હતું.