અંબિકા ટાઉનશીપ પાસે આર્યલેન્ડ સોસાયટીમાં બનાવ
શિક્ષીકા અર્પિતાબેને ફાંસો ખાઇ મોત મેળવ્યું
પતિ સાંજે નોકરીએથી આવ્યા ત્યારે ઉપરના માળનો દરવાજો નહિ ખોલાતાં બીજી ચાવીથી લોક ખોલી જોતાં પત્નિ લટકતાં જોવા મળ્યા
રાજકોટ તા. ૨૪: નાના મવા રોડ પર અંબિકા ટાઉનશીપ પાસે આવેલી આર્યલેન્ડ સોસાયટી બ્લોક નં. ૧૪૫માં રહેતાં અને ઇશ્વરીયામાં આવેલી મોદી સ્કૂલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતાં અર્પિતાબેન સંદિપનભાઇ દેવનાથ (ઉ.વ.૪૨) નામના મહિલાએ સાંજે ઘરે ઉપરના માળે પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવ અંગે ૧૦૮ મારફત જાણ થતાં તાલુકા પોલીસ મથકના એએસઆઇ ડી. વી. ખાંભલા અને પૃથ્વીરાજસિંહે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર અર્પિતાબેન મુળ પશ્ચિમ બંગાળના વતની હતાં અને ઇશ્વરીયામાં આવેલી મોદી સ્કૂલમાં શિક્ષીકા તરીકે નોકરી કરતાં હતાં. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. પતિ મેટોડાની કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. બાળકો નીચેના રૂમમાં હતાં અને પતિ નોકરી પર હતાં ત્યારે અર્પિતાબેને ઉપરના રૂમમાં જઇને આપઘાત કરી લીધો હતો.
સાંજે પતિ ઘરે આવ્યા ત્યારે ઉપરના રૂમમાં ગયા તે વખતે દરવાજો બંધ હતો. વારંવાર ખખડાવવા છતાં નહિ ખોલાતાં બીજી ચાવીથી તાળુ ખોલીસને જોતાં પત્નિ લટકતા દેખાતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. આપઘાતનું કારણ હાલ બહાર આવ્યું ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે.