જમીન મહેસુલના કામોને વેગ આપો : ચેતન રામાણી
મહેસુલ વિભાગની ધુરા સંભાળતા રાજેન્દ્ર ત્રિવેદીને શુભેચ્છા સહ સુચનો
રાજકોટ તા. ૨૪ : પ્રદેશ ભાજપ અગ્રણી ચેતનભાઇ રામાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી સરકારના નવનિયુકત મંત્રીઓની રૂબરૂ શુભેચ્છા મુલાકાત કરી લોકપ્રશ્નો અંગે રજુઆત કરી હતી.
કેબીનેટ કક્ષાના મહેસુલ, આપતિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાય તંત્રના મંત્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીને શુભેચ્છા પાઠવી મહેસુલ વિભાગને અલગ ઉંચાઇ અપાવવાનો ભાવ વ્યકત કર્યો હતો. નાના ખેડુતો વેપારીઓ તેમજ આમજનના મહેસુલના અટકતા કામો જેવા કે બીનખેતી આકાર, જમીન મહેસુલ, હકકપત્રક નોંધના નિકાલની કામગીરી ઝડપી અને સરળ બનાવવા ધ્યાન દોર્યુ હતુ. વારંવાર ડીઝીટલ પ્લેટફોર્મના સર્વર ડાઉન થવાની સમસ્યાનો હલ લાવવા પણ જણાવેલ. કોમ્પ્યુટરાઇઝેશન, રેવન્યુ પ્રમોલગેશન જેવા મહત્વના કાર્યોને વેગ મળે તે જરૂરી હોવા અંગે પણ ભાર મુકયો હતો.
અધિકારીઓ વચ્ચે સંલગ્ન સુગમતા લાવી મહેસુલ કાર્યોને ઝુંબેશના રૂપમાં પૂર્ણ કરવાની લાગણી અંતમાં ચેતન રામાણીએ વ્યકત કરી હતી.