અમીન માર્ગ પર રિક્ષાની ઠોકરે બાઇક ચડતાં ભીસ્તીવાડના યુવાન દિપક સાગઠીયાનું મોત
કામેથી ઘરે આવતી વખતે કાળ ભેટ્યોઃ માસુમ પુત્રએ પિતાનું છત્ર ગુમાવતાં પરિવારમાં કલ્પાંત
રાજકોટ તા. ૨૪: અમીન માર્ગ પર ઓન્લી પરોઠા નજીક રાત્રીના રિક્ષાની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકસ્વાર જામનગર રોડ પર ભીસ્તીવાડમાં રહેતાં દિપકભાઇ પાલાભાઇ સાગઠીયા (વણકર) (ઉ.વ.૩૪)નું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું હતું.
દિપકભાઇને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ સારવાર દરમિયાન મોડી રાતે દમ તોડી દેતાં સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના દેવરાજભાઇ નાટડાએ જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દિપકભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો.
રાત્રે તે કામેથી ઘરે આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં અકસ્માત નડ્યો હતો. સંતાનમાં એક પુત્ર છે. પત્નિનું નામ કાજલબેન છે. પોલીસે રિક્ષાચાલક વિરૂધ્ધ ગુનો નોંધવા તજવીજ કરી હતી.