રાજકોટના પૂર્વ કોર્પોરેટર ચારૂબેન ચોૈધરીનું અવસાન : કોરોના સામે જંગ હારી ગયા
તેમના ભાઇ હરિશભાઇ પારેખ (ચારૂ પબ્લીસિટી)નો પણ થોડા દિવસો પહેલા કોરોનાએ ભોગ લીધો હતો
રાજકોટ તા.૨૪ : ગાંધીગ્રામ વિસ્તારના ભાજપના પૂર્વ કોર્પોરેટર ચારૂબેન ચૌધરી ૬૩ વર્ષની ઉંમરે કોરોના સામે જંગ હારી ગયા છે. આજે સવારે કોરોનાની સારવાર દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું છે . હજુ થોડા દિવસ અગાઉ તા.૫ સપ્ટેમ્બરનાં તેમના મોટાભાઇ હરીશભાઇ પારેખનું (ચારૂ પબ્લીસીટીવાળા)નું પણ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું .
વર્ષ ૨૦૦૫માં ચારૂબેન વોર્ડ નં.૧માં ભાજપમાંથી મ્યુ.કોર્પોરેશનની ચૂંટણી લડી વિજય બન્યા હતા.તેઓ પરિવાર સાથે ગાંધીગ્રામ વિસ્તારમાં રહે છે. પહેલા તેમણે કોરોના ટેસ્ટ કરાવતા રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન સ્વ. ચારૂબેનના પરિવારજનોએ જણાવ્યું હતું કે ૧૧ દિવસ અગાઉ તેઓને ૧૫૦ ફુટ રીંગ રોડ ઉપરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલ. જ્યાં તેઓને ફેફસામાં થોડું ઇન્ફેકશન હોવાનું નિદાન થયેલ અને બાયોપેક ઉપર રાખવામાં આવેલ પરંતુ સવારે ૭ વાગ્યે ચારૂબેનનું હૃદય બેસી ગયું અને ભાઇ હરીશભાઇની પાછળ માત્ર ૧૯ દિ'માં જ બહેને પણ અનંતની વાટ પકડી લેતા પરિવારજનોમાં ભારે દુઃખની લાગણી છવાઇ છે.
રાજકોટ મ.ન.પા.ના પદાધિકારીઓ, અધિકારીઓ, વિવિધ રાજકીય પક્ષનાં આગેવાનો, કાર્યકરો, સમર્થકોએ ચારૂબેનનાં અવસાનથી દુઃખ પ્રગટ કરી શોકની લાગણી વ્યકત કરી હતી.