ગૂમડુ થયું હોઇ તેમાંથી કેન્સરની ગાંઠ થશે તેવા ભયથી પટેલ વૃધ્ધનો આપઘાત
સાધુ વાસવાણી રોડ પાટીદાર ચોકના ૬૫ વર્ષિય પરષોત્તમભાઇ ઠુમ્મરે ઝેરી ટીકડી પી જિંદગી ટૂંકાવી લેતાં પરિવારમાં શોક
રાજકોટ તા. ૨૪: સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં રહેતાં પરષોત્તમભાઇ મોહનભાઇ ઠુમ્મર (ઉ.૬૫) નામના પટેલ વૃધ્ધે ઝેરી ટીકડી પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
વહેલી સવારે પરષોત્તમભાઇના મોઢામાંથી ફીણ નીકળતાં હોઇ પરિવારજનોએ તાકીદે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતાં. પરંતુ ત્યાં દમ તોડી દેતાં કલ્પાંત સર્જાયો હતો. ઝેરી ટીકડી પીધાનું તબિબી તપાસમાં જણાતાં પોલીસને જાણ કરવામાં આવતાં યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ. બી.આર. ભરવાડ અને લક્ષમણભાઇ મહાજને જરૂરી કાર્યવાહી કરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ પરષોત્તમભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. રૈયા ગામના વતની હતાં. તેમને સંતાનમાં બે પુત્ર અને ત્રણ પુત્રી છે. પુત્રો મંડપ સર્વિસ ચલાવે છે. પરષોત્તમભાઇને ગળા પાછળ ગૂમડુ થયું હોઇ તેમાંથી કેન્સરની ગાંઠ થઇ જશે તો? તેવો ભય લાગતાં આ પગલું ભરી લીધું હતું. વિશેષ તપાસ યથાવત રાખવામાં આવી છે.