નઝીર ચાઇનીઝ ખાવા ગયો, ન ભાવતાં પાર્સલ કરવાનું કહેતાં ઘુસ્તાવી નાંખ્યો
ભાવનગર રોડ પર ફાસ્ટફૂડની લારી ઉભી રાખતા બે શખ્સોએ માર માર્યાનું કથન
રાજકોટ તા. ૨૪: બેડીપરા શેરી નં. ૧૦માં રહેતાં અને છુટક મજૂરી કરતાં નઝીર મન્સુરભાઇ શેખ (ઉ.૩૪) નામના યુવાનને રાત્રીના ભાવનગર રોડ પર ઝોન ઓફિસ પાસે ફાસ્ટફૂડની લારીવાળા બે શખ્સે ઘુસ્તાવી નાંખતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને અક્ષય ડાંગરે આ અંગે થોરાળા પોલીસને જાણ કરી હતી. નઝીરના કહેવા મુજબ પોતે ચાઇનીઝ ખાવા માટે ગયો હતો. ૫૦ની પ્લેટ હતી, પણ પોતાની પાસે ૪૦ રૂપિયા જ હતાં એ આપતાં ચાલીસનું ચાઇનીઝ અપાયું હતું. પણ પોતાને શ્વાદ સારો ન લાગતાં ઘરે કોઇ માટે લઇ જવા લારીવાળાને પાર્સલ કરી દેવાનું કહેતાં બંનેએ એક તો પૈસા પુરા આપવા નથી ને માથે જતાં પાર્સલનું કયો છો?...તેમ કહી મારકુટ કરી લીધી હતી.
લક્ષ્મીવાડીનો યુવાન ભુલથી ઝેરી દવા પી ગયો
લક્ષ્મીવાડી-૯/૧૭ના ખુણે રહેતો હર્ષદભાઇ કિશોરભાઇ ગોહેલ (ઉ.૩૫) રાત્રે નવેક વાગ્યે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ભકિતનગર પોલીસને જાણ કરાઇ હતી. તેણે ભુલથી દવા પી ગયાનું કહ્યું હતું.