આર.ટી.ઓ.એ એક મહિનાનો સમય આપ્યો, ચેકીંગ નહિં કરે : સ્કુલવાન- રીક્ષાચાલકોને રાહત
નીતિનભાઈ ભારદ્વાજે રજૂઆત સાંભળી સ્કુલવાન - રીક્ષાચાલકોના હિતમાં નિર્ણય અપાવ્યો, આભાર વ્યકત : વિમા- ટેકસ સહિતના પ્રશ્ને રાજકોટ સ્કુલવાન એસોસીએશન રજૂઆત કરશે
રાજકોટ : તંત્ર દ્વારા સ્કુલવાન - રીક્ષાચાલકોના વાહનો ડીટેઈન કરી દંડ ફટકારવાની સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવતા આ સ્કુલવાન ચાલકોએ ભાજપ પ્રદેશ અગ્રણી શ્રી નીતિનભાઈ ભારદ્વાજને આ મામલે રજૂઆત કરતાં તેઓની મધ્યસ્થીથી આર.ટી.ઓ. દ્વારા કોઈ કાર્યવાહી ન કરવા માટે એક મહિનાનો સમય આપ્યો હોવાનું સ્કુલવાન ચાલકોએ જણાવ્યુ હતું. તેઓએ જણાવેલ કે, નીતિનભાઈ ભારદ્વાજે અમારી રજૂઆત શાંતિથી સાંભળી અને નિયમ મુજબ જે પણ થશે તેની ખાત્રી આપી હતી. સ્કુલવાનમાં ૧૪ બાળકો બેસાડવા, ટેક્ષી પાસીંગ કરાવવું, પ્રાઈવેટ વિમો લેવો સહિત તંત્ર દ્વારા જણાવાયેલ અને એક મહિના સુધી વાહનો ડીટેઈન અને દંડ પણ ફટકારવામાં નહિં આવે તેવી ખાત્રી આપી હતી. આ મામલે ખાસ કરીને ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજનો સ્કુલવાન ચાલકોએ ખાસ આભાર વ્યકત કરેલ. સ્કુલવાન ચાલકોએ જણાવેલ કે હાલ રાજકોટમાં ૨૦૦૦ જેટલા વાન, રીક્ષાઓ છે અને રાજકોટ સ્કુલ વાન એસોસીએશનમાં ૧૦૦૦ જેટલા સભ્યો છે. હવે આગામી સમયમાં વિમામાં રાહત મળે તેવી રજૂઆત કરવામાં આવશે તેમ રાજકોટ સ્કુલ વાન એસોસીએશનના પ્રમુખ બહાદુરસિંહ ગોહેલ (મો. ૯૩૭૪૧ ૧૩૭૪૫), જયરાજભાઈ રાઠોડ, મંત્રી રમેશભાઈ ડાભી, મંત્રી મનોજભાઈ પરમાર, મંત્રી રાજુભાઈ પ્રજાપતિ, ખજાનચી વજુભાઈ પરમાર, મીડીયા સેલ અજયભાઈ બોરીચા અને મોહિતસિંહ ડોડીયાએ જણાવ્યુ હતું. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)