રાજકોટ
News of Friday, 24th May 2019

મિલ્કત વેરા વળતર યોજનાનું છેલ્લુ અઠવાડીયુઃ ૭૪ કરોડની આવક

૧.૬૦ લાખ કરદાતાઓએ એડવાન્સ ટેકસ ભરી ૬.૫૦ કરોડનું ડિસ્કાઉન્ટ મેળવ્યુ

રાજકોટ, તા.૨૪: મ્યુ. કોર્પોરેશન દ્વારા એડવાન્સ મિલ્કત વેરો ભરનાર કરદાતાઓને એપ્રિલ થી ૩૧મે સુધી ૧૦ થી ૧૫ ટકા અને  જુનમાં ૫ થી ૧૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ યોજના હેઠળ મ્યુ.કોર્પોરેશનની તિજોરીમાં કુલ ૧.૬૦ લાખ પ્રમાણિક કરદાતાઓએ રૂ. ૭૪ કરોડ મિલ્કત વેરો ભર્યો છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનનાં વેરા શાખાનાં સુત્રો માંથી મળતી માહિતી મુજબ તા. ૯મીએ એપ્રિલે મંગળવારથી એડવાન્સ ટેકસ ભરનાર નાગરિકોને ડિસ્કાઉન્ટ આપવાની યોજના અમલી બનાવવા આવી છે ત્યારે આજ દિન સુધી એટલે કે તા.૨૪ સુધીમાં કુલ ૧.૬૦ લાખ કરદાતાઓએ રૂ.૭૪ કરોડ મિલ્કત વેરા પેટે ભર્યા છે. જેમાં હજારો  કરદાતાઓએ ઓન લાઇનથી  કરોડનો વેરો ભર્યા છે. ઓનલાઇન વેરો ભરનાર કરદાતાઓને રૂ.૫૦ વધારાનું ડિસ્કાઉન્ટનો લાભ મળે છે. ગત વર્ષ કરતા આ વર્ષે ઓનલાઇન વેરો ભરનાર કરદાતાની સંખ્યામાં વધારો થયેલ છે.

અત્રે નોંધનીય છે કે, ૩૧ મે સુધી પુરૂષ કરદાતાઓને તેઓના કુલ ટેકસની રકમ ઉપર ૧૦ ટકા તથા મહિલા કરદાતાઓને ૧૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને ત્યાર બાદ જૂનમાં ૧ થી ૩૦ જૂન સુધી પુરૂષોને ૫ ટકા અને મહિલાઓને ૧૦ ટકા વળતર એડવાન્સ ટેકસ ઉપર આપવામાં આવશે. આ ઉપરાંત જે કરદાતાઓ ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના માધ્યમથી પોતાનો આગોતરો મકાન વેરો ભરી દેશે તેઓને ઉપરોકત ડિસ્કાઉન્ટ ઉપરાંત વધારાનો એક ટકો ડિસ્કાઉન્ટ અપાશે જેમાં ઓછામાં ઓછું ૫૦ રૂ. તથા વધુમાં વધુ ૨૫૦ રૂ.નું ડિસ્કાઉન્ટ અપાશે.

(3:44 pm IST)