સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં વૃધ્ધ, વૃધ્ધા અને યુવાનના મોત
ત્રણેય અજાણ્યા મૃતકોના વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો
રાજકોટ તા. ૨૪: સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં પંદર કલાકની અંદર ત્રણ અજાણ્યા વ્યકિતઓએ દમ તોડી દીધો હતો. બિમારીના કારણે બેભાન થઇ જતાં મૃત્યુ થયાના તારણો નીકળ્યા હતાં.
જાણવા મળ્યા મુજબ ગઇકાલે સવારે સાડા નવેક વાગ્યે વોર્ડ નં. ૧૦ની સામે પાર્કિંગના ભાગેથી અજાણ્યા આશરે ૭૦ વર્ષના વૃધ્ધ બેભાન મળતાં ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મોત નિપજ્યું હતું. એ જ રીતે બપોરે અઢી વાગ્યા આસપાસ અજાણ્યા આશરે ૭૦ વર્ષના વૃધ્ધા સિવિલના માનસિક રોગ વિભાગ સામેથી બેભાન મળતાં ઇમર્જન્સીમાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ તેને નિષ્પ્રાણ જાહેર કરાયા હતાં.
આ ઉપરાંત રાત્રીના સાડા દસેક વાગ્યે સિવિલના ટ્રોમા કેર સેન્ટર પાસેથી અજાણ્યો આશરે ૪૦ વર્ષનો યુવાન બેભાન મળતાં તેને પણ ઇમર્જન્સી વોર્ડમાં સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ તેનું મોત નિપજ્યાનું તબિબે જાહેર કર્યુ હતું.
ત્રણેય બનાવમાં હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને જગુભા ઝાલાએ જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર, મહેશભાઇ રૂદાતલા અને પી.એન. ત્રિવેદીએ જરૂરી કાર્યવાહી કરી હતી. તસ્વીરમાં દેખાતાં મૃતકોના વાલીવારસ કે પરિચિત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.