પત્નિને ઘરમાંથી કાઢી મુકયા બાદ માઠુ લાગતાં કડીયા વૃધ્ધનો સળગીને આપઘાત
કોઠારીયા ગણેશ સોસાયટીમાં બનાવઃ હેમરાજભાઇ વેગડ (ઉ.૬૫)ને અકસ્માત નડ્યા બાદ મગજ તેજ થઇ ગયો'તો એ કારણે પત્નિ સાથે સતત ઝઘડતા હતાં
રાજકોટ તા. ૨૪: કોઠારીયામાં ગણેશ મારબલ પાસે ગણેશ સોસાયટી-૬માં રહેતાં હેમરાજભાઇ ભવાનભાઇ વેગડ (ઉ.૬૫) નામના કડીયા વૃધ્ધે સળગીને આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.
હેમરાજભાઇએ બપોરે શરીરે કેરોસીન છાંટી કાંડી ચાંપી લેતાં ગંભીર રીતે દાઝી જતાં ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ ૧૦૮ મારફત થતાં આજીડેમ પોલીસ મથકના એએસઆઇ કનુભાઇ વાલજીભાઇએ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરનાર વૃધ્ધને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પુત્ર મનિષભાઇના કહેવા મુજબ મારા પિતા હેમરાજભાઇને વીસેક પહેલા બાઇક અકસ્માતમાં ઇજા થઇ હતી. આ કારણે વિદ્યાનગર રોડની હોસ્પિટલમાં પાંચેક દિવસ દાખલ રાખવા પડ્યા હતાં. એ પછી રજા અપાઇ હતી. અકસ્માત બાદ તેમનો મગજ ખુબ ગુસ્સાવાળો થઇ ગયો હતો. આ કારણે તે મારા માતા માણેકબેન સાથે સતત ઝઘડો કરતાં હતાં અને બે દિવસ પહેલા તેને ઘરમાંથી કાઢી મુકતાં તે પીરવાડી પાસે મારા ઘરે આવીને રહેતાં હતાં. પત્નિને કાઢી મુકયા બાબતે હવે માઠુ લાગતું હોઇ તે કારણે આ પગલું ભર્યાનું સમજાય છે.