પૂ.સુશાંતમુનિ-પૂ. નમ્રમુનિ મ.સા.આદી ૫૬ સંત-સતીજીઓની ૩ જુને દિકરાના ઘર-ઢોલરા ખાતે પાવન પધરામણી
રાજકોટઃ તા.૨૪, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટના સવાયા સદ્ ભાગ્યે ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ સુશાંત મુનિ મ.સા.,રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.આદિ ઠાણા ૬ એવમ્ ૫૦ ઉપરાંત પૂ.મહાસતિજીઓ દિકરાનું ઘર ઢોલરા ખાતે તા.૩/૬ને રવિવારના શુભ દિવસે મંગલ પદાર્પણ કરશે
સંસ્થા વતી ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, ઉપેનભાઈ મોદી, સુનિલભાઈ વોરા વગેરે અરજણ સુખ ગામ ખાતે પૂ.ગુરુવર્યોના ચરણોમાં ભાવભરી વિનંતી કરતાં ઉપકારી પૂ.ગુરુદેવ ઉદારતા દાખવી વિનંતીનો સહર્ષ સ્વીકાર કરી સમ્મતિ આપતા સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટીગણ તથા સંસ્થામાં રહેલા માવિત્રોમાં પણ - આનંદ છવાઈ ગયેલ.
અત્રે નોંધનીય છે કે પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા. પાવનધામ પડઘાની પવિત્ર ભૂમિ ખાતે એક સાથે ૧૨ - ૧૨ મુમુક્ષુ આત્માઓને દીક્ષાના દાન આપી મુંબઈ, વડોદરા તથા સૌરાષ્ટ્રના ગોંડલ,વડીયા,ધારી વગેરે ક્ષેત્રોને અપૂર્વ લાભ આપી રાજકોટ ઐતિહાસિક સમૂહ ચાતુર્માસાર્થે પધારી રહ્યાં છે. પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.સમાજપયોગી સદ્ કાર્યો કરતી અનેક સંસ્થાઓમાં પધારી સેવાભાવી કાર્યકરોને પ્રોત્સાહિત કરી સાધુવાદ પાઠવે છે.સંસ્થાના કાર્યકરોમાં પૂ.ગુરવર્યોના મંગલ પદાર્પણથી સેવા કરવા માટે પ્રેરક બળ મળે છે.
તા.૩/૬ના રવિવારના શુભ દિવસે સવારના ૯:૧૫ થી ૧૧:૧૫ પ્રવચનનું આયોજન દિકરાનું ઘર - ઢોલરા ખાતે રાખેલ છે, ત્યારબાદ સ્વરૂચિ ભોજનનું પણ આયોજન કરેલ છે.
દરેક ધર્મ પ્રેમીઓને ઉપસ્થિત રહેવા સંસ્થાવતી મુકેશભાઈ દોશી, (મો.૯૮૨૫૦ ૭૭૭૨૫), ઉપેનભાઈ મોદી (મો.૯૮૨૪૦ ૪૩૧૪૩),સુનીલભાઈ વોરા(મો. ૯૮૨૫૨ ૧૭૩૨૦) એ ભાવભરી વિનંતિ કરેલ છે. (૪૦.૨)