સેવામય જીવન બનાવવું અને વફાદાર રહીને સેવા કરવી : પૂ.મહંતસ્વામી
બીએપીએસ મંદિરે સેવકદિનની ઉજવણી : સાળંગપુરમાં તાલીમ પામેલા સેવકોનો પદવીદાન સમારોહ
રાજકોટ : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પૂ. મહંતસ્વામી મહારાજ સત્સંગલાભ આપી રહ્યા છે. જે અંતર્ગત દ્વિતીય દિન સેવક દિન તરીકે ઉજવવામાં આવ્યો, જેમાં સારંગપુર ખાતે ચાલતા યુવા તાલીમ કેન્દ્રના સેવકોનો પદવીદાન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
યુવા શકિત સમાજની એવી મહત્વની શકિત છે તેને જો યોગ્ય દિશા અને સાચું માર્ગદર્શન મળે તો એનાથી અકલ્પનિય કાર્યની સિદ્ઘિ થઇ શકે. તેના માટે ૨૦૦૭માં બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા પૂ.પ્રમુખસ્વામી મહારાજની આજ્ઞાથી યુવા તાલીમ કેન્દ્રની શરૂઆત થઇ. કુલ ૬ મહિનાની આ તાલીમમાં વિદ્વાન અને અનુભવી સંતોનું માર્ગદર્શન, સંતો અને અનુભવી નિષ્ણાંતોનું સતત સાન્નિધ્ય, વરિષ્ઠ સંતો દ્વારા દિશા દર્શન અને માર્ગદર્શન દ્વારા થીઅરી સાથે પ્રેકટીકલ તાલીમ દ્વારા યુવાનોને અધ્યાત્મકલક્ષી, જીવનલક્ષી, સેવાલક્ષી, અને કળા-કૌશલ્યલક્ષી તાલીમ આપવામાં આવે છે.
જે અંતર્ગત સનાતન હિન્દુ ધર્મના શાસ્ત્રોનું અધ્યયન તથા વ્યકિતત્વ વિકાસની તાલીમ આપવામાં આવે છે. યુવાન ન કેવળ અધ્યાત્મિક પરંતુ વ્યવહારિક જીવનની અંદર સફળતા મેળવે એ માટે પ્રવચનકળા, ટાઈમ મેનેજમેન્ટ તથા માનવીય સંબંધોની ઉપયોગીતા જેવા વિવિધ કળા-કૌશલ્યલક્ષી માર્ગદર્શન આપવામાં આવે છે. સાથે સાથે યોગાસન-પ્રાણાયામ, નિર્વ્યસની જીવન, શુદ્ઘ આહાર-વિહાર તેમજ સ્વાસ્થ્યલક્ષી મહત્વતાના પાઠને પોતાના જીવનની અંદર ઉતારવાનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. પૂ. મહંતસ્વામી મહારાજના યુવા તાલીમ કેન્દ્રના સેવકોને આશીર્વાદ આપતા કહે છે કે, શ્નયુવાન ૬૦ વર્ષમાં ન શીખી શકે તે યુવા તાલીમ કેન્દ્રમાં ૬ મહિનામાં શીખવવામાં આવે છેલૃ. અત્યાર સુધીમાં ૧૧૦૦થી વધુ યુવાનો યુવા તાલીમ કેન્દ્રમાંથી જીવન ઘડતરની તાલીમ પામ્યા છે.
સેવક દિને કુલ ૧૦૦ જેટલા યુવા તાલીમ કેન્દ્રના સેવકોનો પદવીદાન સમારોહ યોજાયેલો જેમાં ગુજરાત સહિત બીજા પ્રાંતના યુવકોએ પણ તાલીમ પ્રાપ્ત કરેલી. આ બધા યુવકોએ વિવિધ પ્રસ્તુતિઓ દ્વારા યુવા તાલીમ કેન્દ્રમાં શીખવાતા પાઠોની રજૂઆત કરેલી અને સ્વાનુભાવો પણ રજૂ કર્યા હતા. પરમ પૂજય મહંતસ્વામી મહારાજે યુવા તાલીમ કેન્દ્રના યુવાનોને આશીર્વચન આપતા સેવા સમર્પણનો મહિમા, સત્સંગની દ્રઢતા અને સદાચારી જીવન માટે પ્રેરક બળ પૂરૃં પાડતા આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, 'સેવામય જીવન બનાવવું અને વફાદાર રહીને સેવા કરવી.'આ વર્ષ દરમ્યાન રાજકોટ મંદિરમાં પ્રતિષ્ઠિત કરેલ નીલકંઠવર્ણી મહારાજને ૧૦ વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોઈ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે જે અંતર્ગત આજનો દિવસ સંકલ્પ દિન તરીકે ઉજવાશે.(૩૭.૭)