કણકોટમાં અનિતાબેન ખારવાને વેવાઇ જોનીભાઇ અને બે અજાણ્યા શખ્સોએ ધોકાથી માર માર્યો
દિકરીને જુદા રહેવા જવું હોઇ તે બાબતે ઝઘડો થતાં વેવાઇને સમજાવતાં ન ગમ્યું
રાજકોટ તા. ૨૪: કણકોટના પાટીયા પાસે ભોલેનાથ શેરીમાં રહેતાં અનિતાબેન રાધેશ્યામભાઇ મહતો (ઉ.૫૦) નામના ખારવા મહિલાને તેના ઘર પાસે જ રહેતાં વેવાઇ જોનીભાઇએ ઝઘડો કરી ધોકા અને ઢીકા-પાટુનો માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા છે.
અનિતાબેનના કહેવા મુજબ તેના પતિ હયાત નથી. દિકરી પૂજાએ પડોશમાં રહેતાં જોનીભાઇ કોળીના દિકરા મુકેશ સાથે છ માસ પહેલા લવમેરેજ કર્યા છે. જમાઇ કારખાનામાં કામ કરે છે. વેવાઇ જોનીભાઇને દારૂ પીવાની ટેવ હોઇ તે પીને ઘરે આવતાં હોઇ જેથી દિકરી પૂજાએ પતિ મુકેશને અલગ રહેવા જવાની વાત કરતાં તેણીને સસરા જોનીભાઇએ જુદા રહેવા જવાની ના પાડી ઝઘડો કર્યો હતો. આથી પોતે તેને સમજાવવા જતાં હુમલો કરાયો હતો. વેવાઇ સાથે હુમલામાં બીજા બે જણા પણ સામેલ હતાં.
હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રવિભાઇ ગઢવીએ તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)