ર૮ રસના ચિચોડાને નોટીસઃ ૧૦પ કિલો લીંબુ-ચાસણીનો નાશ
મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ ઝૂંબેશ : ઉપહાર બ્રાન્ડ ખજૂરનો નમૂનો ફેઇલઃ શુધ્ધ ઘીનો નમૂનો લેવાયો...
રાજકોટ તા. ર૪ :.. ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખાએ ચેકીંગ ઝૂંબેશ હાથ ધરી છે જે અંતર્ગત આજે ર૮ રસનાં ચીચોડાને નોટીસો આપીને કુલ ૧૦પ કિલો વાસી માળેલા લીંબુ અને વાસી ચાસણીનો નાશ કરાયો હતો.
આ અંગે નાયબ આરોગ્ય અધિકારી ડો. રાઠોડે જણાવ્યા મુજબ ઉનાળાની ઋતુમાં રોગચાળો અટકાવવા ખાદ્ય ચીજોનાં વેપારીને ત્યાં હાથ ધરાયેલ ચેકીંગ ઝૂંબેશ અંતર્ગત આજે ૩૭ રસનાં ચિચોડાનું ચેકીંગ કરતાં.
તે પૈકી ર૮ ચિચોડામાંથી વાસી લીંબુ અને અખાદ્ય ચાસણીનાં ૧૦પ કિલો જથ્થાનો નાશ કરાયો હતો. આજે તમામ ર૮ રસનાં ચિચોડાનાં વેપારીઓને નોટીસો અપાઇ હતી.
દરમિયાન ફુડ ઇન્સ્પેકટરોએ ગીતાનગર સોસાયટીમાં ભાવના ફુડ પ્રોડકટનાં ઉપહાર ખજૂરનો નમૂનો ફેઇલ જાહેર કરાયો હતો કેમ કે તેના પેકેટ ઉપર તારીખ દર્શાવેલ નહી હોવાથી ખાદ્ય બ્રાન્ડેડ જાહેર થયેલ.
જયારે આજે મંગળા મેઇન રોડ, ઉપરથી મેસર્સ પોપટ મહેન્દ્રભાઇ જમનાદાસને ત્યાંથી લૂઝ શુધ્ધ ઘીનો નમૂનો લઇ રાજય સરકારની લેબોરેટરીમાં મોકલી અપાયો હતો.