ફિકસ પગાર મુદ્દે ૨૪ જૂને હજારો શિક્ષક સહાયકો રામધૂન કરશે
રાજકોટ તા. ૨૩ : ગઇકાલે રવિવારે ગુજરાત રાજય ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળની બેઠક મળી હતી. જેમાં શિક્ષણ સહાયકોના ફિકસ પગાર વધારા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ સહાયકોના પગાર વધારા મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ૩૫૦૦થી વધુ શિક્ષણ સહાયકો ઇમેઇલ અને પોસ્ટ કાર્ડ દ્વારા રજૂઆત કરશે.
આ ઉપરાંત બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, આગામી ૧૮થી ૨૩ જૂન દરમિયાન શિક્ષણ સહાયકો કાળી પટ્ટી પહેલીને વિરોધ કરશે. પોતાની માગણીઓને યોગ્ય ન્યાય નહીં મળતે ૨૪મી જૂનના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષણ સહાયકો રામધૂમ બોલાવવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. બપોરના ૧૨થી ૨ વાગ્યા સુધી આ રામધૂન ચાલશે.
ઉલ્લેખનીય છેકે, ગુજરાત શિક્ષણ જગતમાં એક તરફ ફી મુદ્દે પણ વાલીઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ઠેરઠેર રેલીઓ અને રસ્તા ઉપર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ફી મુદ્દે પણ વાલીઓને સરકાર તરફથી નરાવો કુંજરો વા જેવી પ્રતિક્રિયા મળી રહી છે. આવી સ્થિતિમાં શિક્ષણ સહાયકો પણ ફિકસ પગારમાં વધારાની માંગ સાથે આગળ આવી રહ્યા છે. શિક્ષણ સહાયકોએ સરકાર સામે લડી લેવાનું મન બનાવી લીધું છે. પોતાની માંગને યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે એવું સુત્રો જણાવી રહ્યા છે.(૨૧.૧૨)