પત્નિ પાસેથી રૂ. પ૦૦ લઇ 'હમણાં આવું છું' કહી નીકળેલા ઇકબાલનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
બિલેશ્વર નજીક બનાવઃ કારણ જાણવા તપાસ
રાજકોટ તા. ર૪: સંતકબીર રોડ પર ભગીરથ સોસાયટીમાં રહેતા યુવાને પત્નિ પાસેથી રૂ. પ૦૦ લઇ 'હમણા આવું છું' કહી નીકળ્યા બાદ બીલેશ્વર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.
મળતી વિગત મુજબ બિલેશ્વર રેલવે સ્ટેશન નજીક એક અજાણ્યા પુરૂષે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બિલેશ્વર સ્ટેશન માસ્તરે પોલીસ કંટ્રોલમાં જાણ કરતા કંટ્રોલ ઇન્ચાર્જ પી.એસ.આઇ. જે. એ. ખાચરે જાણ કરતા કુવાડવા પોલીસ મથકના એ.એસ.આઇ. ફતેહસિંહ સોલંકી સહિતે સ્થળ પર પહોંચી તપાસ કરતા મૃતક યુવાનના ખીસ્સામાંથી મોબાઇલ મળી આવ્યો હતો. મોબાઇલમાં નંબરના આધારે સંપર્ક કરતા યુવાનનું નામ ઇકબાલ મહંમદભાઇ સંઘાર (ઉ.વ.ર૮) (રહે. સંતકબીર રોડ ભગીરથ સોસાયટી) હોવાનું જાણવા મળ્યું હતું. બાદ પોલીસે જાણ કરતા મૃતક ઇકબાલની પત્નિ સહિતના પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. મૃતક ઇકબાલ ડ્રાઇવીંગ કરતો હતો. તેણે સાત વર્ષ પહેલા પ્રેમલગ્ન કર્યા હતા તે બે ભાઇમાં મોટો હતો. ગઇકાલે તે પત્નિ પાસેથી રૂ. પ૦૦ લઇ 'હમણા આવું છું' કહી ઘરેથી નીકળી ગયો હતો. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.