વિજયભાઇ રૂપાણી રાજકોટમાં : વિરાટ વિજય લોક અભિવાદન
સાંજે ૫.૩૦ કલાકે બહુમાળી ભવન ખાતે આયોજન : પ્રજાજનો, ચૂંટાયેલા ઉમેદવારો, કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનો અનુરોધ
રાજકોટ તા. ૨૪ : મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ધમાકેદાર વિજય મેળવતા આ વિજયના વધામણા કરવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આજે સાંજે ૫.૩૦ વાગ્યે બહુમાળી ભવન ખાતે 'વિરાટ વિજય લોક અભિવાદન' સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડની એક સંયુકત અખબારી યાદીમાં જણાવેલ છે કે રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૭ર માંથી ૬૮ બેઠકોમાં ભાજપને જવલંત વિજય મળેલ છે.લોકોએ ભાજપ ઉપર વિશ્વાસ વ્યકત કરીને ખોબે–ખોબે વિકાસને મત આપેલ છે. ત્યારે આ લોકઅભિયાન માટે આજે સાંજે પઃ૩૦ કલાકે લોકઅભિવાદન માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના અઘ્યક્ષસ્થાને રોસકોર્ષના બહુમાળી ભવન ચોકમાં રાજકોટના પનોતા પુત્ર અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતિમાં 'વિરાટ વિજય લોક અભિવાદન' સમારોહ યોજવામાં આવશે.
આ સમારોહમાં શહેરના પ્રજાજનોને, ચંૂટાયેલા ઉમેદવારો અને અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્થિત રહેવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવે છે.