ભૂમાફિયાઓ સામે લડતા લોકસેવક સરપંચોને રક્ષણ આપોઃ કલેકટરને રજૂઆત
રાજકોટઃ. રાજકોટ તાલુકા ગ્રામ પંચાયત સરપંચ સંગઠન દ્વારા સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખનન અને ગેરકાયદેસર કબ્જા તથા લોકસેવક સરપંચને જાહેરમાં માર મારવા બાબતે રક્ષણ આપવા કલેકટરને રજૂઆત કરાઈ તે વખતની તસ્વીર. રજૂઆતમાં જણાવાયુ છે કે રાણપુર (નવાગામ)ના સરપંચ પ્રવિણાબેન સંજયભાઈ રંગાણીને ગેરકાયદેસર ખનનની બાતમી મળતા સરપંચની રૂએ તથા લોકજવાબદારીની રૂએ તેમના પતિ સંજયભાઈ બી. રંગાણી તે જગ્યાએ ગયેલ ત્યાં માથાભારે શખ્સો સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે ખનન કરતા હતા. ત્યારે સંજયભાઇએ તે શખ્સોને પ્રેમપૂર્વક આ ગેરકાયદેસર પ્રવૃતિ ન કરવા સમજાવેલ. આમ છતાં તે લોકોએ પોલીસનો કે કાયદાનો કોઇપણ પ્રકારનો ડર રાખ્યા વગર સંજયભાઇએ અંદાજે ૭થી ૮ વ્યકિતઓ (જે અંગેની ફરીયાદ ૧૪/૧૧/ર૦ર૦ના રોજ કુવાડવા રોડ પો.સ્ટે. ફરીયાદ છે. એ ગેરકાયદેસર મંડળી રચી અપશબ્દો બોલી અપમાનીત કરેલ. તદા્ઉપરાંત તેમના પત્ની તથા તેમના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપેલ. આવા અવારનવાર થતા ગેરકાયદેસર કૃત્યોના લીધે વિકાસના કામો તથા ગ્રામ્ય વિસ્તારની શાંતિ જોખમાય છે ત્યારે આવા આવારા તત્વો દ્વારા ગામડે-ગામડે આવા દબાણો ખનન જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતા હોય તેની વિરૂદ્ધમાં સરપંચોને સ્વરક્ષણ માટે યોગ્ય સત્તા આપવા અને ગુજરાત સરકાર દ્વારા આવા ગેરકાયદેસર ભૂમાફિયાઓની વિરૂદ્ધ લાલ આંખ કરવામાં આવી છે ત્યારે સહુ લોકસેવક સરપંચોની વિનંતીને ધ્યાનમાં રાખી આવા શખ્સો વિરૂદ્ધ કાયદેસર પગલા લઇ વિકાસના કાર્યોને વેગવાન બનાવવા માંગ છે.