રાજારામ સોસાયટીમાં કુંભાર સગર્ભાનું બેભાન હાલતમાં મોત
નિલમબેન મોરાણીયાને નવમો મહિનો ચાલતો'તોઃ એક દિકરી મા વિહોણી થઇઃ પરિવારમાં અરેરાટી
રાજકોટ તા. સામા કાંઠે રાજારામ સોસાયટી-૫માં રહેતાં નિલમબેન વિનોદભાઇ મોરાણીયા (ઉ.૩૦) નામના વરીયા કુંભાર મહિલાને હાલમાં નવમો મહિનો ચાલતો હોઇ રાત્રે અગિયારેક વાગ્યે બેઠા-બેઠા અચાનક બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
થોરાળાના એએસઆઇ ગોકુળભાઇ વાસાણીએ જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર નિલમબેનના લગ્ન આઠ વર્ષ પહેલા થયા હતાં. સંતાનમાં ત્રણ વર્ષની દિકરી છે. પતિ વિનોદભાઇ ઇમિટેશનની મજૂરી કરે છે. માવતર રાજારામ સોસાયટીમાં જ રહે છે. તેણીના પિતાનું નામ લાલજીભાઇ આટોડીયા છે. પરિવારજનો હાલમાં કુટુંબમાં નવા મહેમાનની પધરામણી થવાની હોઇ તેની ખુશીમાં હતાં ત્યારે જ નિલમબેનનું મોત નિપજતાં ગમગીની છવાઇ ગઇ છે. મોતનું કારણ જાણવા વિસેરા લેવામાં આવ્યા છે. હાર્ટએટેક આવી ગયાની શકયતા પરિવારજનોએ દર્શાવી હતી.