આલાપ એવન્યુમાંથી પરમ દિવસે ગૂમ થયેલા સરિતાબેન ભાટીયાની આજીડેમમાંથી લાશ મળી
ડિપ્રેશનથી કંટાળી આત્મહત્યા કરી લીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું
રાજકોટ તા. ૨૩: યુનિવર્સિટી રોડ પર આલાપ એવન્યુમાં રહેતાં મુળ પંજાબના સરિતાબેન રાજકુમારભાઇ ભાટીયા (ઉ.૫૬) નામના મહિલા પરમ દિવસે ઘરેથી વોકીંગમાં અને શાકભાજી લેવા જવાનું કહીને નીકળ્યા બાદ ગૂમ થઇ જતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન તેમનો મૃતદેહ આજીડેમમાંથી મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. ડિપ્રેશનથી કંટાળીને આ પગલુ ભર્યાનું ખુલ્યું હતું.
સરિતાબેન ગૂમ થયા હોઇ પરિવારજનોએ પોતાની રીતે તપાસ શરૂ કરી હતી. તેમજ પોલીસ ફાયર બ્રિગેડમાં જાણ કરી હતી. એ દરમિયાન ગઇકાલે એક મહિલાની લાશ આજીડેમમાંથી મળતાં એએસઆઇ વી. બી. સુખાનંદી તથા કિરીટભાઇ રામાવતે પહોંચી તપાસ આદરી હતી. ફાયર બ્રિગેડમાં એક મહિલા ગૂમ થયાની જાણ કરાઇ હોઇ તેમના સગાના નંબર હોઇ પોલીસે સંપર્ક કરી જે લાશ મળી તેના ફોટા મોકલતાં આ લાશ સરિતાબેન ભાટીયાની હોવાનું સ્પષ્ટ થયું હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. તેમને લાંબા સમયથી ડિપ્રેશનની બિમારી હોઇ કંટાળી જઇ આત્મહત્યા કરી લીધાનું ખુલ્યું હતું.