રાજકોટ
News of Tuesday, 23rd October 2018

ભુપેન્દ્ર રોડ સ્વામિનારાયણ મંદિરે આજે રાત્રે શરદપૂર્ણિમા મહોત્સવ ઉજવાશે

સુરતના બાળકલાકાર અંકિત ખેની રાસની રમઝટ બોલાવશેઃ પૂ.રાધારમણદાસજી સ્વામી પ્રવચન આપશે

રાજકોટ,તા.૨૩: સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્ર રોડ ખાતે આજે મંગળવારે રાત્રીનાં ૯:૩૦ થી ૧૨ સુધી મંદિરના ચોગાનમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂ.કોઠારી સ્વામી હરિચરણદાસજી સ્વામી (બાપુ સ્વામી)ના અધ્યક્ષપદે શરદ પૂર્ણિમા મહોત્સવ રાસની રમઝટ સાથે ઉજવાશે.

શરદપૂર્ણિમા મહોત્સવમાં ભગવાનના ચાર થાળ તથા ભગવાનની ચાર આરતી ઉતારવામાં આવે છે. ''પંચાળામાં શ્રીજી મહારાજ રસીયો રાસ રમે'' પંચાળાનો આ રાસ દરેક મંદિરમાં શરદપૂર્ણિમાંના મહોત્સવમાં ખાસ રમાય છે.

સુરતના ખ્યાતનામ બાળ કલાકાર ગાયક અંકિત ખેની સાથે દેવઉત્સવ મંડળ રાજકોટ આ બન્ને સાથે મળી રાસ અને કિર્તનોની રમઝટ બોલાવી સંતો તથા હરિભકતોના હેત અને હૈયા જીતી લેશે.

મહંત સ્વામી શાસ્ત્રી શ્રી રાધારમણદાસજી સ્વામી શરદ પૂર્ણિમા મહોત્સવ અને અક્ષરધામની પ્રાપ્તી વિશે પ્રવચન આપશે. પ્રસંગ પૂર્ણ થયે દૂધ પૌવાના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે. આ ધાર્મિક પ્રસંગે શ્રી હરિચરણદાસજી સ્વામી રાજકોટ તથા મુનિવત્સલદાસજી સ્વામી કોઠારી બાલાજી હનુમાનજી મંદિર તથા પાર્ષદ કાંતિ ભગત (શિઘ્ર કવિ) પૂર્વ કોઠારી બાલાજી હનુમાનજી મંદિર રાજકોટ તેમજ પૂજય કોઠારી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી તથા પૂજય વાસુદેવસ્વામી, પૂજનિય જે.પી.સ્વામી આદિ સંતો પણ પ્રવચન આપશે. સભાનું સંચાલન પ્રમુખ જીતુભાઈ રાધનપુરા અને આભારદર્શન મંત્રી ભરતભાઈ અંબાસણા કરશે. તેમ  મંત્રી મનસુખભાઈ એમ. પરમારની યાદીમાં જણાવાયું છે.

(4:21 pm IST)