રાજકોટ
News of Tuesday, 23rd October 2018

અકિલાએ ૧૦ મહિના અગાઉ પ્રસિધ્ધ કરેલ કોંગ્રેસના કોર્ર્પોરેટરના રાજીનામા અંગેનો અહેવાલ સાચો ઠર્યો

રાજકોટઃ વોર્ડ નં. ૧૩ ના કોંગ્રેસના કોર્પોરેટર નીતીનભાઇ રામાણી પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે ત્યારે અકિલા દ્વારા  ર જાન્યુઆરી-ર૦૧૮ના રોજ પ્રથમ પાને 'મવડી વિસ્તારના કોર્પોરેટરનો પક્ષપલ્ટા માટે થનગનાટ' મથાળા હેઠળ અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો. જે તસ્વીરમાં દર્શાય છે.

રાજકોટ, તા., ૨૩: ભાજપમાંથી બળવો કરી અને કોંગ્રેસમાંથી ચુંટણી લડી કોર્પોરેટર બનેલા વોર્ડ નં. ૧૩ ના કોંગ્રેસના કોર્પોરેટર નિતીનભાઇ રામાણીએ અંતે કોંગ્રેસમાંથી પોતાનું રાજીનામુ ફગાવ્યું છે અને સંભવતઃ આવતીકાલે તેઓ કોર્પોરેટર પદેથી પણ રાજીનામું આપી દીધા બાદ ફરીથી તેઓ ભાજપમાં પ્રવેશ કરનાર હોવાનું આધારભુત સુત્રોમાંથી જાણવા મળ્યંુ છે. આમ હવે શહેરના બે વોર્ડમાં પેટા ચુંટણી નિશ્ચિત બની છે. કેમ કે અગાઉ વોર્ડ નં. ૧૮ના કોંગ્રેસના જ કોર્પોરેટર ધર્મિષ્ઠાબા જાડેજાને મ્યુનિસીપલ કમિશ્નરે કોર્પોરેટર પદેથી ગેરલાયક ઠેરવી અને આ વોર્ડની બેઠક ખાલી થયાની જાણ ચુંટણી પંચને કરી દીધી છે.  દરમિયાન હવે નિતીન રામાણી પર વોર્ડ નં. ૧૩ માંથી કોર્પોરેટર પદનું રાજીનામું કમિશ્નરને આપી દેશે. આમ આ બંન્ને વોર્ડની બેઠકો ખાલી થશે. જેથી આગામી દિવસોમાં પેટા ચુંટણીના પડઘમ વાગવાનું નિશ્ચિત બન્યું છે.

આ અંગે સતાવાર પ્રાપ્ત માહીતી મુજબ કોર્પોરેશનની હાલની ટર્મમાં ભાજપે ટીકીટ નહિ ફાળવતા તત્કાલીન ભાજપના આગેવાન  નિતીન રામાણીએ ભાજપ સામે બળવો કરી અને પોતાના જ પક્ષના ઉમેદવાર વિરૂધ્ધ કોંગ્રેસ પક્ષમાંથી ટીકીટ મેળવી વોર્ડ નં. ૧૩ માંથી કોંગ્રેસના નિશાન ઉપર ચુંટણી લડી વિજયી બની કોર્પોરેટર પદે ચુંટાઇ આવ્યા હતા. આ દરમિયાન છેલ્લા દસેક મહિનાથી નિતીન રામાણીને કોંગ્રેસ પક્ષમાં સતત અવગણના થઇ રહયાનું લાગતા તેઓએ આ મુદ્દે અવારનવાર કોંગ્રેસના પ્રદેશ નેતાઓને લેખીત રજુઆતો કરી અને જો તેઓને  પક્ષમાં અવગણના કરવાનું બંધ નહિ થાય તો તેઓ પક્ષમાંથી રાજીનામું આપશે. આમ કોંગ્રેસમાં તેઓ સતત નિષ્ક્રીય થતા રહયા અને છેલ્લા બે જનરલ બોર્ડમાં તેમજ સ્ટેન્ડીંગ કમીટીમાં તેઓએ પક્ષના વ્હીપનો પણ ઉલાળીયો કર્યો હતો. આથી આ ગેરશિસ્ત સબબ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે તેઓને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની નોટીસ પણ ફટકારી હતી.

આ દરમિયાન નીતીન રામાણી ફરીથી ભાજપમાં પ્રવેશ મેળવી રહયાની ચર્ચાઓ સતત ચાલુ રહી હતી. તેઓ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પણ મળ્યા હતા. આથી નિતીન રામાણીના ભાજપ પ્રવેશ બાબતે ગરમા-ગરમ ચર્ચાઓ અને અફવાઓ ચાલી હતી. અંતે આજે તેઓએ કોંગ્રેસને છોડતા હવે તેઓનો ભાજપ પ્રવેશ નિશ્ચિત બન્યો છે.

અત્રે નોંધનીય છે કે નીતીન રામાણીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા ટેકનીકલી દ્રષ્ટિએ તેઓનું કોર્પોરેટર પદ પણ જોખમમાં મુકાયું છે. આથી તેઓ સંભવતઃ આવતીકાલે સામેથી કોર્પોરેટર પદેથી રાજીનામું આપી દે તેવી શકયતા છે.

(4:18 pm IST)