નીતિન રામાણીને ભાજપમાં બીનશરતી પ્રવેશ અપાશેઃ શહેર પ્રમુખ કમલેશ મીરાણી
રાજકોટ, તા., ર૩: વોર્ડ નં. ૧૩ ના કોર્પોરેટર નીતીન રામાણીએ અંતે કોંગ્રેસ પક્ષને છોડયો છે ત્યારે તેઓ પુનઃ ભાજપમાં ઘર વાપશી કરે તેવી અટકળોને વેગ મળ્યો છે. આથી આ બાબતે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીનો સંપર્ક સાધતા તેઓએ અકિલાને જણાવ્યું હતું કે નીતીનભાઇ રામાણી અગાઉ ભાજપના કાર્યકર હતા અને હવે તેઓએ કોંગ્રેસ પક્ષને છોડી દીધો છે ત્યારે તેઓને પુનઃ ભાજપમાં આવકારવા માટે પક્ષની પુરેપુરી તૈયારી છે.
પરંતુ નીતીનભાઇ જો કોઇ પણ જાતની શરત વગર એટલે કે બીન શરતી રીતે ભાજપમાં જોડાવવા માંગતા હોય તો તેઓનું ભાજપમાં ખુલ્લા દિલે સ્વાગત છે. આમ શહેર ભાજપ પ્રમુખે નીતીન રામાણીના ભાજપ પ્રવેશ બાબતે નિર્દેશ આપી દીધો છે. સાથોસાથ એ પણ નિર્દેશ આપ્યો છે કે તેઓને પક્ષ દ્વારા કોઇ મહત્વનો હોદો આપવાની શરત સ્વીકાર્યા વગર પ્રવેશ અપાશે.