રાજકોટ
News of Monday, 23rd September 2019

શિક્ષણશાસ્ત્રી - વકતા ડો.ભદ્રાયુભાઈ વછરાજાનીના ધર્મપત્નિ અને આજીવન શિક્ષક ઈલાબેનની ચિરવિદાય

દાયકા જૂની સૌરાષ્ટ્ર હાઈસ્કુલને નવસર્જન કરવામાં ઈલાબેનની અગ્રીમ ભૂમિકા : બુધવારે અંતિમયાત્રા

રાજકોટ : જાણીતા શિક્ષણશાસ્ત્રી સૌરાષ્ટ્ર હાઈસ્કુલના પ્રમુખ ઈલાબેન વછરાજાનીનું આજે દુઃખદ અવસાન થયુ છે. પ્રસ્તુત તસ્વીરમાં ઈલાબેન વછરાજાનીનો નશ્વર દેહ અને પરિવારજનો નજરે પડે છે.(તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ : જાણીતા શિક્ષણશાસ્ત્રી લેખક-વકતા ડો. ભદ્રાયુભાઇ વછરાજાનીના ધર્મપત્ની અને આજીવન શિક્ષક (ડો.) ઇલાબેન ભદ્રાયુભાઇ વછરાજાની તે હાર્દિક (સીડની) અને સૌ. જેલમ હાર્દિકનાં માતુશ્રીએ તા. ર૩-૯-૧૯નાં ચિરવિદાય લીધી છે. તેઓશ્રી શ્રી સૌરાષ્ટ્ર હાઇસ્કુલ ટ્રસ્ટ, રાજકોટનાં પ્રમુખ હતા. તેમની અંતિમ યાત્રા તા. રપ-૯-૧૯ બુધવારે સવારે આઠ વાગે તેઓના નિવાસસ્થાન 'પ્રેમ મંદિર', નર્મદા પાર્ક-૪, અમીન માર્ગ, રાજકોટથી નીકળશે.

અતિ સરળ - સહજ સસ્મિત વ્યકિતત્વ એટલે ઈલાબેન

ઈલાબેન ભદ્રાયુભાઈ વછરાજાની અતિ સરળ - સહજ ને સસ્મિત વ્યકિતત્વ, ખૂબ શાંત, લોકો પ્રત્યે અપાર લાગણી અને આતિથ્ય માટે સદા તત્પર... 'પ્રેમ મંદિર'ના દ્વારે પૂજય મોરીરાબાપુથી લઈને સુભાષ ભટ્ટ સુધીના ભાવકોને પ્રેમથી સત્કારવાનો હર્ષ કાયમ ઈલાબેનનો હતો.

એમ.એ. (ઈતિહાસ), એમ.એ. (ઈકોનોમિકસ) પછી સૌરાષ્ટ્રના મ્યુઝીયમ પર ઈલાબેને ડોકટરેટની ઉપાધી પ્રાપ્ત કરી. પોતે હાઈસ્કુલ શિક્ષકની બી.એઙ સહિતની લાયકાત ધરાવતા હોવા છતા ઈલાબેને સૌરાષ્ટ્ર હાઈસ્કુલના પ્રાથમિક વિભાગના નાના બાળકો વચ્ચે જ રહેવાનું પસંદ કર્યુ અને સતત અઠ્ઠાવીસ વર્ષ સૌ.હા. પ્રાથમિક વિભાગના આચાર્ય તરીકે નિવૃતી વહેલી લઈ એમ.ડી.મહેતા એજ્યુ. ટ્રસ્ટની પી.ટી.સી. કોલેજનું સ્થાપન અને સંચાલન કર્યુ. ઈલાબેને પૂજય મોરારીબાપુની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્ર હાઈસ્કુલ ટ્રસ્ટના પ્રમુખ તરીકે વર્ષો જૂની પોતાની શાળાને નવસર્જન બક્ષ્યુ. પ્રેમ મંદિરનું પ્રેમી યુગલ એટલે ઈલાબેન અને ભદ્રાયુભાઈ વછરાજાની ૪૧ વર્ષો પહેલા વિદ્રોહ કરી પ્રેમલગ્ન કરનાર આ દંપતિ અનેક મિત્રોને સ્વજનોનો ખજાનો ધરાવે છે એ એમની મૂડી છે.

વછરાજાની પરિવારને દિલસોજી પાઠવતા પૂ.મોરારીબાપુ

રાજકોટ : જાણીતા શિક્ષણશાસ્ત્રી અને આજીવન શિક્ષક ઈલાબેન વછરાજાનીનું આજે દુઃખદ અવસાન થતાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. પ્રખર રામાયણી પૂ.મોરારીબાપુએ આજે ટેલીફોન મારફત ડો.ભદ્રાયુભાઈ વછરાજાની અને જેલમબેન સાથે દિલસોજી પાઠવી ઉંડા દુઃખની લાગણી વ્યકત કરી હતી.

(3:57 pm IST)