લોકમેળામાં આરોગ્ય વિભાગનું ચેકીંગઃઆગ્રા કુલ્ફીમાંથી જીવાત મળીઃ બાફેલા બટેટા સહિત ૪૦૦ કિલો અખાદ્ય ખોરાકનો નાશ
રાજકોટઃ રાજકોટના રેસકોર્ષ મેદાનમાં આયોજીત મલ્હાર લોકમેળામાં મ્યુ.કોર્પોરેશનની આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય સામગ્રીના સ્ટોલની ચકાસણી હાથ ધરી હતી. આ ચેકીંગ દરમિયાન ૪૭ કિલો બાફેલા બટેટા, ઢોકળામાં પ્રતિબંધીત પીળા કલરના ઉપયોગ બદલ ૧ર૦ કિલો, ફરાળી ચીપ્સમાં મકાઇના લોટનો ઉપયોગ થતો હોય ૪૦ કિલો પીપ્સ તથા લોટ, ૪૮ કિલો કાપેલા ફળનો બિન આરોગ્યપ્રદ હોય તથા બરફ ગોલાવાળાને ત્યાંથી ૧૦૮ કિલો બિન આરોગ્યપ્રદ બરફ તથા વાસી ટુડીફુટી સહિત ૪૦૦ કિલો અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત કુલ્ફી બનાવવા માટે વપરાતા દુધમાં કલર- જીવાત મળતા અંદાજીત ૮૦ કિલો આગ્રા કુલ્ફીનો નાશ કર્યો હતો. આ કામગીરી મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીની સુચનાથી મ્યુ. કોર્પોરેશનના નાયબ અધિકારી ડો. પી.પી.રાઠોડના માર્ગદર્શન હેઠળ ફુડ અધિકારી અમિત પંચાલ સહીતના ફુડ ઇન્સ્પેકટર તથા કર્મચારી દ્વારા કરવામાં આવી હતી.