રાજકોટ
News of Monday, 23rd July 2018

અરવિંદભાઇ મણીઆરનું જીવન બધા માટે પ્રેરણાદાયીઃ વિજયભાઇ રૂપાણી

એમણે જોયેલુ હિન્દુ રાષ્ટ્રનું સ્વપ્ન સાકાર થશે જઃ ભૈયાજી : અરવિંદભાઇ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટની ૩૪ વર્ષની પ્રવૃતિઓ પુસ્તકરૂપે પ્રકાશીતઃ પ્રકાશને પંથે પુસ્તકનું રાજકોટના આંગણે દબદબાભેર વિમોચન

રાજકોટ, તા., ૨૩: અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની ૩૪ વર્ષની પ્રવૃતિઓનું સામાજીક ઓડીટ સ્વરૂપે ડોકયુમેન્ટેશન એટલે કે પ્રકાશને પંથે પુસ્તકનો લોકાર્પણ સમારોહ ભૈયાજી જોશી અને વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલ હતો. અરવિંદભાઇ મણીઆરની ચિરંજીવ સ્મૃતિને જાળવતાં અમુલ્ય પુસ્તકની ઉપસ્થિત સહુને ભેટ આપવામાં આવી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પ્રમુખ સ્થાનેથી પ્રવચનમાં જણાવ્યું હતું કે, સર્વપ્રથમ, આ પુસ્તક પ્રકાશન માટે રાજુલભાઇ અને ટ્રસ્ટને અભિનંદન આપુ છું. અરવિંદભાઇએ એવું વ્યકિતત્વ કે જે પુસ્તકમાં સમાય નહી. પ૦ વર્ષનું તેમનું આયુષ્ય હતું. માણસ રપ વર્ષ સુધી તો ભણતો હોય, શીખતો હોય અને બીજા પાંચ વર્ષ કામ-ધંધો કરે, ઠરીઠામ થતા ૩૦ વર્ષ થાય, અરવિંદભાઇએ ર૦ વર્ષ કામ કર્યુ. પરંતુ ટુંકા સમયમાં તેમણે જેટલું કાર્ય કર્યુ. મુલ્યોના માનવી તરીકે રાજકીય આગેવાન તરીકે કાર્ય કર્યુ તેને આપણે આજ યાદ કરીએ છીએ. અત્યારના સમયમાં સક્રિયતા જરૂરી બની છે. અરવિંદભાઇએ એ સમયમાં વિચાર સાથે, ધ્યેય સાથે કાર્ય કર્યુ છે. આજે જે નેતાગીરી ઉભી થઇ છે. તેવા કાર્યકર્તાનું ઘડતર કરનાર બે-ચાર વ્યકિતઓ પૈકી અરવિંદભાઇ એક હતા.

તેમણે બેન્ક થકી ગરીબ માણસ, નાના અને છેવાડાના માણસને કેમ મદદ કરવી તેવા અનેક કાર્યો અરવિંદભાઇએ કર્યા. અરવિંદભાઇએ બેન્કમાં અને કોર્પોરેશનમાં અનેક લોકોને મળીને પ્રજાના ખુબ જ કાર્યો કર્યા. તેમણે વધુને વધુ લોકોના સુખ-દુઃખમાં ભાગીદાર બનવાનું ગમતું હતું. અરવિંદભાઇની સ્મશાન યાત્રામાં રાજકોટનો નાનામાં નાનો માણસ રોતો મે જોયો છે. બધાને એમ લાગતું હતું કે આખા રાજકોટે કંઇક ગુમાવ્યું છે. આજ સુધી આટલી મોટી સ્મશાનયાત્રા મેં રાજકોટમાં જોઇ નથી. વિજયભાઇએ વધુમાં જણાવ્યું હતું કે અરવિંદભાઇએ જનસંઘને મોટો કરવામાં પણ ખુબ મોટો ફાળો આપ્યો. અનેક કાર્યકરોને પક્ષમાં જોડતા ગયા. અમે બધા તેના માનસપુત્રો છીએ. સાથોસાથ રાજકોટ નાગરીક સહકારી બેંકની ગામો ગામ શાખાઓ ખોલી.

રાષ્ટ્રીય સ્વયં સેવકના સર કાર્યવાહ ભૈયાજી જોશીએ પ્રાસંગીકમાં જણાવ્યું હતું કે, અરવિંદભાઇએ હિન્દુ રાષ્ટ્રનું સ્વપ્ન જોયેલું. તેમનું આ સ્વપ્ન અવશ્ય સાકાર થશે જ. ભારતના યોગદાનની દુનિયાને નિરંતર આવશ્યકતા રહેવાની છે. દીપ સ્તંભ સમાન તેમનું જીવન રહયું. આપણા સહુનુ ભાગ્ય છે કે આવા પુણ્યાત્માના દેશમાં આપણનો જન્મ થયો છે. નિરંતર આ દેશમાં આ પ્રકારના લોકો આવતા રહેશે અને સતત આવતા રહેશે જ. અહીં સિધ્ધાંતરૂપે બતાવ્યું કે, સમાજ ચલતા રહેગા, શુધ્ધ રહેગા, આ વાત ગ્રંથો કે આદેશને રીતે નથી જણાવી પરંતુ એમ કહેવામાં આવ્યું કે જે આગળ ગયા છે તેમની પાછળ ચાલો આ વાત સાથે ચાલીને કહેવામાં આવી છે. વાસ્તવિક મહાજન એ છે કે જેમણે કહેવાની જરૂર નથી કે મારી પાછળ ચાલો પરંતુ સમાજ અપને આપ તેની પાછળ ચાલે છે. અહીં લક્ષ્મી અને સરસ્વતી પુજા નહી પરંતુ તપસ્વી-સાધક કહયા તેની પુજા થઇ. આપણે તેમના ચરણોમાં મસ્તક રાખ્યું છે કે તેમની પાસે કશું નથી. સન્યાસી પાસે શું હોય? લક્ષ્મીને ઇચ્છાઓ-અપેક્ષાને કારણે પૂજા કરતા હોઇ શકે છે. સાધુ -સંત તો એવા હોય છે કે ઝુકતા નથી કે ઝુકવાની ઇચ્છા પણ રાખતા  નથી. પરંતુ આપણે આપણી ઇચ્છાથી તેમની સામે ઝુકયા છીએ. શાસ્ત્ર એ કહે છે કે ઉતેજનાપુર્ણ  ભાષણોથી નહિ પરંતુ કર્મયોગીના દર્શનથી વ્યકિતનાં જીવનમાં પરિવર્તન આવે છે. અરવિંદભાઇ મણીઆર વિશે કંઇ કહેવું હોય તો એક વાકયમાં કહી શકાય કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વંયસેવક હતા. બધાને સાથે લઇને ચાલવાનો વિચાર હતો. આ સંસ્થાનાં નામનાં જનકલ્યાણ છે અને કલ્યાણ કરવાની ભાવના પણ છે. આ ટ્રસ્ટે જવાબદારી લીધી છે કે સમાજમાં એક આદર્શ પ્રસ્થાપિત કરવો.

પુસ્તક લોકાર્પણ સમારોહમાં મહાનુભાવોના હસ્તે પ્રાગટય અને કમળની પંખડી ખુલતાં ખુલતાં પુસ્તક પ્રદર્શની કરી અદ્યતન ટેકનોલોજીનો પરિચય સંસ્થાએ કરાવ્યો હતો. આ પ્રયાસે ઉપસ્થિત સહુએ તાલીઓના ગડગડાટથી વધાવી લીધો હતો.

ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. વલ્લભભાઇ કથીરીયાએ હાર્દિક આવકાર આપતા જણાવ્યું હતું કે, અરવિંદભાઇએ સમાજ જીવનમાં રાષ્ટ્રીય સ્વંયક સેવક સંઘમાંથી પ્રેરણા લઇને તેમણે યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન સાથે કાર્ય કર્યુ. તેઓ મેયર તરીકે, ધારાસભ્ય તરીકે કાર્ય કર્યુૃ. નાના માણસોના અદના સેવક તરીકે કાર્ય કરવા રાજકોટ નાગરિક સહકારી બેન્કમાં કાર્ય કર્યુ. અકાળે થયેલા તેમના દેહાવસાન બાદે તેમની સ્મૃતિને જીવંત રાખવા, તેમની સ્વપ્નોને ધ્યાનમાં રાખીને, શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની સ્થાપના કરી. ટ્રસ્ટમાં અનેક મહાનુભાવો જોડાયા અને સમયાંતરે સેવાઆપી એક પછી એક અનેક સામાજિક -શૈક્ષણિક તબીબી-ખેલ જગતની પ્રવૃત્તિઓ થઇ. આ તકે ટ્રસ્ટના દિવંગત ટ્રસ્ટીઓ અવશ્ય યાદ આવે છે.

જયોતીન્દ્રભાઇ મહેતાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે ૧૯૮૩માં અરવિંદભાઇના અવસાન બાદ કેટલાક રાજકીય -સામાજિક કાર્યકરો ભેગા થયા અને તેમની સ્મૃતિને જીવંત રાખવા ટ્રસ્ટની રચના કરવાનું નક્કી કર્યુ. અરવિંદભાઇના નામની આગળ સ્વ. લખવાનું મન નહોતું માનતું. અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટની આગળ શ્રી લખવાનું નક્કી થયુ ત્યારે કહેવાયું કે આપણે તેમના નામની આગળ નહિ પરંતુ ટ્રસ્ટનું નામની આગળ કાયમ માટે શ્રી લખી શકીશું. તેમને પ્રભુ પાસેથી બોનસ નહોતું જોઇતુ એટલે ૪૯ વર્ષ અને ૧૧ માસે જ વિદાય લીધી. તેઓ સાદુ અને સાધુ જીવન જીવતા હતા. તેમને બહુ જલ્દી-જલ્દી જીવી ગયા પરંતુ ૮૦-૧૦૦ વર્ષ સુધી કાર્યક રી શકાય તેવા કાર્ય ખુબ જ  ટુંકાગાળામાં કર્યા.

પુસ્તકના લેખક અને જાણીતા પત્રકાર રાજુભાઇ દવેએ લેખન યાત્રાની વાત કરતા જણાવ્યું હતું કે મિત્રો પુરૂષાર્થી અને પરમાર્થી વ્યકિતનું સ્મરણ કરવા આપણે એકઠા થયા છીએ. રર-ર૩ વર્ષના મર્યાદિત સમયગાળામાં, માનવી ઇચ્છે તો કેટલું કામ કરી શકે અને નિષ્ઠા તથા પ્રમાણિકતાપૂર્વક પોતાના ધૈર્યને વળગી આગળ વધે તો કેટલી જબ્બર આંતરિક ઉર્જા ઉત્પન્ન થાય તેનું ઉદાહરણ અરવિંદભાઇ છે. સામાન્ય માનવીનું અસામાન્ય વ્યકિતત્વ એટલે  અરવિંદભાઇ મણીઆર છે.તેઓ સંવેદનશીલ લોકનેતા હતા.'

પુસ્તક વિમોચન સમારોહમાં ભૈયાજી જોશી (સર કાર્યવાહ,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ), વિજયભાઇ રૂપાણી (મુખ્યમંત્રી-ગુજરાત રાજય), ડો.વલ્લભભાઇ કથીરીયા (મેનેજીંગ ટ્રસ્ટી), જયોતીન્દ્રભાઇ મહેતા (ટ્રસ્ટી), હંસિકાબેન મણીઆર (ટ્રસ્ટી), મહાસુખભાઇ શાહ (ટ્રસ્ટી), શિવુભાઇ દવે (ટ્રસ્ટી), પૂ. સ્વામી પરમાત્માનંદજી (આર્ષ વિદ્યા મંદિર), કલ્પકભાઇ મણીઆર, અંજલિબેન રૂપાણી, રાજુલભાઇ દવે (લેખક-પત્રકાર), ગોવિંદભાઇ પટેલ (ધારાસભ્ય), અરવિંદભાઇ રૈયાણી (ધારાસભ્ય), લાખાભાઇ સાગઠીયા (ધારાસભ્ય), બીનાબેન આચાર્ય (મેયર-રાજકોટ મહાનગરપાલિકા), ઉદયભાઇ કાનગડ (સ્ટેન્ટીંગ કમીટી ચેરમેન), નલિનભાઇ વસા (ચેરમેન-રાજકોટ નાગરિક સહકારી બેન્ક લિ.), ટપુભાઇ લીંબાસીયા, ડાયાભાઇ ડેલાવાળા, હરિભાઇ ડોડીયા, દિપકભાઇ મકવાણા, હંસરાજભાઇ ગજેરા, ઘનશ્યામભાઇ ઢોલરીયા, રાજશ્રીબેન જાની, કિર્તીદાબેન જાદવ, રાહુલભાઇ ગુપ્તા (કલેકટર-રાજકોટ), મનોજભાઇ અગ્રવાલ (પોલીસ કમીશ્નર-રાજકોટ), મીહિરભાઇ મણીઆર, હર્ષલભાઇ મણીઆર, ગોવિંદભાઇ સોલંકી, અપુર્વભાઇ મણીઆર, રાજુભાઇ ધ્રુવ, ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઇ મીરાણી, નિતીનભાઇ ભારદ્વાજ,શિવલાલભાઇ વેકરીયા, રમાબેન માવાણી, રામજીભાઇ માવાણી, જયંતભાઇ ધોળકીયા, નિલેશભાઇ શાહ, ડો.જીતેન્દ્રભાઇ અમલાણી, જાહ્નવીબેન લાખાણી, પ્રભાતભાઇ ડાંગર, હસુભાઇ ગણાત્રા, રમેશભાઇ ઘેટીયા, પ્રવિણભાઇ માકડીયા, ગોપાલભાઇ માકડીયા ઉપરાંત આમંત્રિતો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

આભારદર્શન કરતાં કલ્પકભાઇ મણીઆરે જણાવ્યું હતું કે, 'મહાનુભાવો અને સહુનો હાર્દિક આભાર સાથે વાત કરૃં તો, આ પુસ્તકની શરૂઆત બળવંતભાઇ જાનીથી થઇ. તેમણે આપણને એક પુસ્તકની ભેટ આપી. ત્યારબાદ આપણને રાજુલભાઇ મળ્યા. રાજુલભાઇએ ઘણું જ સચોટ કાર્ય કર્યુ છે. આવી જ રીતે ગોપાલભાઇ અને પ્રવિણભાઇએ ખૂબ જ રસપૂર્વક અને શોખથી પ્રકાશન કાર્ય કર્યુ છે. હવે, અમો ટ્રસ્ટનાં માધ્યમથી ટૂંક સમયમાં જ પ્રવૃતિઓનો વ્યાપ વધારવા જઇએ છીએ. લોકોને શુદ્ધ અને સાત્વિક ચીજ-વસ્તુઓ પુરી પાડવાની નેમ છે.'

આ તકે અપૂર્વભાઇ મણીઆરે અસરકારક શબ્દોની ગુંથણી સાથે શૌર્યગાન રજુ કરી અરવિંદભાઇ મણીઆરની ભાવવાહી સ્મૃતિ જીવંત કરી હતી. મહાનુભાવોનું પુષ્પગુચ્છ-ખાદીનો રૂમાલ અને મોમેન્ટો આપી સ્વાગત-અભિવાદન કરવામાં આવ્યું હતું. આભારદર્શન કલ્પકભાઇ મણીઆરે અને સંચાલન નિલેશભાઇ શાહે કર્યુ હતું. આ સમારોહને સફળ બનાવવા માટે અસંખ્ય કાર્યકરોએ અથાગ જહેમત ઉઠાવી હતી. (૪.૧૭)

અરવિંદભાઇની કાર્યકરો માટે લાગણી

વિજયભાઇ રૂપાણીએ એક પ્રસંગને યાદ કરી માર્મીક વાત કરી હતી. ઇ.સ. ૧૯૭૭માં જામનગર લોકસભાની સીટ માટે પક્ષમાં નેતૃત્વ માટે કાર્યકરોની જરૂર ઉભી થઇ. તે સમયે જામનગરથી જયોતિન્દ્રભાઇ રાજકોટ આવેલા અને અરવિંદભાઇની ઓફીસે કામકાજ સંભાળતા. જામનગરની સીટ માટે જયોતિન્દ્રભાઇને ઉભા રાખવાની અમારી લાગણી હતી. મેં અરવિંદભાઇને ઓફીસમાં વાત રજુ કરી ત્યારે તેમણે બહુ સારી વાત કરી. જયોતિન્દ્રને ટીકીટ માટે વાંધો નથી. તેમને યોગ્ય લાગે તે કરે પરંતુ મારે આપ સહુને એક વાત કહેવી છે કે ચુંટણીમાં દરેક વખતે જીત ન થાય. આવા વખતે આવકનું શું કરશો? રાજકારણ આપણા માટે સેવાથી વિશેષ કશું જ નથી. પહેલા તમો તમારી રીતે આર્થિક સેટ થઇ જાવ પછી જાહેર જીવનમાં આવો તો વધુ સારૂ. પછી આપ સહુની ઇચ્છા. આવી હતી તેમની કાર્યકરો માટેની લાગણી.

(4:01 pm IST)