રામકૃષ્ણ આશ્રમ દ્વારા 'વિવેકાનંદ બુક વર્લ્ડ' મોબાઇલ એપ લોન્ચ
રાજકોટ : સ્વામિ વિવેકાનંદના પ્રેરણાદાયી અને શકિતશાળી વિચારો સૌ કોઇના જીવનને બળ પુરૂ પાડે છે. ત્યારે આ વિચારોને જન જન સુધી પહોંચતા કરવા રામકૃષ્ણા આશ્રમ રાજકોટ દ્વારા 'વિવેકાનંદ બુક વર્લ્ડ' મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. જેના દ્વારા વાચકો શ્રીરામકૃષ્ણ જયોત માસિકના બધા અંકો તથા આશ્રમ દ્વારા પ્રકાશિત ઘણા પુસ્તકોને ઇ-બુક સ્વરૂપે વાંચી શકશે. શ્રીરામકૃષ્ણ - વિવેકાનંદ સાહિત્ય ઓનલાઇન ખરીદી શકશે અને વિવેકાનંદના પ્રેરણાદાયી વિચારો મેળવી શકશે. આમ વિશ્વના ખુણે ખુણે વસતા ગુજરાતી વાચકો આ એપના માધ્યમથી સ્વામિ વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસના સંદેશને ઘરે બેઠા માણી શકશે. વિશ્વ યોગ દિવસે આ એપ્લીકેશનનું લોન્ચીંગ શ્રીમત્ત સ્વામી સુવીરાનંદજી મહારાજ, મહાસચિવ શ્રી રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, બૈલુરમઠ દ્વારા કરવામાં આવેલ. ગુગલ પ્લે સ્ટોરમાં 'વિવેકાનંદ બૂક વર્લ્ડ' ટાઇપ કરીને એપ ડાઉનલોડ કરી શકાશે.