વૈશાલીનગરમાં કિશોરભાઇ ભટ્ટના મકાનમાં ચોરી કરનાર દિનેશ વાજેલીયા પકડાયો
ગાંધીગ્રામ પોલીસે છોટુનગરના શખ્સને હનુમાનમઢી પાસેથી દબોચ્યો
રાજકોટ તા. ર૩: વૈશાલીનગરમાં વૃધ્ધના બંધ મકાનમાં સાત દિવસ પહેલા થયેલી ચોરીનો ગાંધીગ્રામ પોલીસે ભેદ ઉકેલી એક શખ્સને હનુમાન મઢી પાસેથી ઝડપી લીધો હતો.મળતી વિગત મુજબ વૈશાલીનગરમાં રહેતા વૃધ્ધ કિશોરભાઇ નરોતમભાઇ ભટ્ટના બંધ મકાનમાં સાત દિવસ પહેલા રોકડ તથા ચાંદીના સીકકા સહિતના સામાનની ચોરી થઇ હતી. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાતા પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. દરમ્યાન સીસીટીવી ફૂટેજમાં દેખાયેલો શખ્સ રૈયા રોડ પર હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્સ. ગોપાલભાઇ બોળીયા તથા અર્જુનભાઇ ડવને બાતમી મળતા હનુમાન મઢી પાસે છોટુનગર શેરી નં. ૪ માં રહેતા દિનેશ અજયભાઇ વાજેલીયા (ઉ.વ. ૩૪) ને હનુમાન મઢી પાસેથી પકડી લઇ રોકડ તથા ચાંદીના સીકકા મળી રૂા. ર૬,૬૦૦ની મતા સાથે પકડી લીધો હતો તેની પૂછપરછમાં તેણે સાત દિવસ પહેલા વૈશાલીનગરમાં કિશોરભાઇના મકાનમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.