બનાવટી-સર્ટીફીકેટ-માર્કશીટના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન પર છુટકારો
રાજકોટ તા. ર૩: સૌરાષ્ટ્ર ઇલેકટ્રોનીકસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી સરકારશ્રીની કોઇપણ જાતની માન્યતા વગર ચલાવી વિદ્યાર્થીઓને બનાવટી સર્ટીફીકેટ અને માર્કશીટ આપવાની ફરીયાદમાં પકડાયેલ રાહુલભાઇ પરમારનો જામીન પર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.
આ કેસની વિગત એવી છે કે, ગઇ તા. ૯/પ/રર ના રોજ ફરીયાદી અજયભાઇ બેચરભાઇ વોરા પી.એસ.આઇ. ડી.સી.બી. પો.સ્ટે.નાઓએ આરોપી જયંતીભાઇ લાલજીભાઇ સુદાણી તથા તપાસમાં ખુલે તે લોકો વિરૂધ્ધ તા. ૯-પ-રરના રોજ ડી.સી.બી. પો. સ્ટે.માં ફરીયાદ નોંધાવેલ હતી.
ફરીયાદીએ પોતાની ફરીયાદમાં એવી હકીકત જણાવેલ હતી કે, આ ગુનામાં મુખ્ય આરોપી જયંતીભાઇ લાલજીભાઇ સુદાણીએ રાજકોટ શહેરમાં પોતાની સૌરાષ્ટ્ર ઇલેકટ્રોનીકસ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી નામની ઓફીસમાં સરકારશ્રીની માન્યતા વગર ઇન્સ્ટીટયુટ ચલાવી, વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવ્યા વગર વીતી ગયેલ વર્ષના અલગ અલગ કોર્ષના બનાવટી સર્ટીફીકેટ તેમજ માર્કશીટ બનાવી આર્થીક લાભ મેળવવા સારૂ આ બનાવટી માર્કશીટ અને સર્ટીફીકેટનો ખરા તરીકે ઉપયોગ કરાવી ઠગાઇ અને વિશ્વાસઘાત કરી, છેતરપીંડી કરેલ તથા પોલીસ રેડ દરમ્યાન બનાવ વખતે મુખ્ય આરોપીની ઓફીસમાંથી કોમ્પ્યુટર, પ્રિન્ટર, કોરા તથા નામવાળા અલગ અલગ સર્ટીફીકેટ, માર્કશીટ, રબ્બર સ્ટેમ્પ, પ્રશ્નપત્ર વિગેરે મુદામાલ મળી આવેલ જે ગુનાની ફરીયાદ નોંધવામાં આવેલ જેમાં તપાસ દરમ્યાન હાલનાં અરજદારોએ મુખ્ય આરોપી પાસેથી ઇન્સ્ટીટયુટમાં તાલીમ લીધા વગર તથા પરીક્ષા આપ્યા વગર મુખ્ય આરોપીને રૂપિયા આપીને ડીપ્લોમા ડીગ્રી સર્ટીફીકેટ ખરીદીને ગુનો કર્યાનું ખુલવા પામેલ.
ઉપરોકત ગુનાનાં કામે આરોપી રાહુલભાઇ દીનેશભાઇ પરમારને પોલીસે પોતે ડીપ્લોમા ઇન મીકેનીકલ એન્જીનીયરીંગનું સર્ટીફીકેટ સને ર૦૦૮નું આરોપી જયંતીભાઇ સુદાણી પાસેથી મેળવેલ હોવાનું જણાય આવતા અટક કરી જેલ કસ્ટડીમાં મોકલેલ હતા. આરોપી રાહુલભાઇ દીનેશભાઇ પરમારને જામીન પર મુકત કરવા માટે એડી. સેશન્સ જજ કોર્ટમાં દલીલ કરતા જણાવેલ હતું કે હાલના આરોપીનું ફરીયાદમાં કયાંય નામ જણાવવામાં આવેલ નથી કે હાલનાં આરોપીએ કોઇ બોગસ સર્ટીફીકેટ બનાવેલ નથી કે તેવા કોઇ દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરેલ નથી કે તેના આધારે કોઇ આર્થીક લાભ મેળવેલ નથી અને હાલના અરજદાર પાસેથી કોઇ રીકવરી કે ડીસ્કવરી બાકી નથી પરંતુ છેતરાયેલ વ્યકિત છે જે તમામ દલીલોને ધ્યાને લઇને આરોપીને અમુક શરતોને આધીન રૂા. ર૦,૦૦૦/- ના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.
આ કામનાં આરોપી રાહુલ દીનેશભાઇ પરમાર તરફે એડવોકેટ અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટના શ્રી અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારદ્વાજ, કલ્પેશ નસીત, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉધરેજા, શ્રીકાંત મકવાણા, તારક સાવંત, ગૌરાંગ ગોકાણી, રોકાયા હતા