રાજકોટ
News of Saturday, 23rd May 2020

દુકાનદારોને સવારના ૭ થી સાંજના ૭ સુધી તથા અમુક ઉદ્યોગોને ર૪ કલાકની છૂટ આપોઃ ચેમ્બર

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની મુખ્યમંત્રી સમક્ષ માગણી : ફુડ હોમ ડિલીવરીને સવારે ૮ થી રાત્રીના ૧૦ સુધી નિયમો સાથે છૂટ મળવી જોઇએ

રાજકોટ તા. ર૩ :.. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા લોકડાઉન દરમ્યાન રાજકોટ શહેરમાં વેપાર-ઉદ્યોગ તથા નાના-મોટા વેપારીઓની દુકાનો વગેરે શરૂ કરવા ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત કરીને રાજકોટ શહેરમાં વપાર-ઉદ્યોગો- દુકાનો તેમજ ઓફીસોને ખોલવાની છૂટછાટ અપાવેલ છે અને રાજકોટમાં ઓડ-ઇવન (એકી-બેકી) તારીખ મુજબ વ્યવસ્થીત દુકાનો ખુલે છે.

આ સમય ખુબ જ ઓછો હોય તેમજ તમામ દુકાનદારો સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરતાં હોય તમામ દુકાનોને સવારના ૭ થી સાંજના ૭ વાગ્યા સુધી ખુલી રાખવા દેવામાં આવે તેમજ લોકડાઉન પીરીયડ દરમ્યાન ઇમ્યુનીટી પાવર મજબુત કરવા અંગે સવારના મોર્નીંગ વોકની સવારે ૬ થી ૮ ની છૂટ આપવી જોઇએ. તેમજ તમામ પવિત્રધામો લોકડાઉનને કારણે બંધ હોય ફુલના હાર અને પળાની ૬ થી ૮ હોમ ડીલીવરીની છૂટ આપવી જોઇએ.

હોટલોને ફુડની હોમ ડીલીવરી કરવાની છૂટ આપેલ છે. જે આવકારદાયક પગલું છે પણ ૮ થી ૪ માં હોમ ડીલીવરી માત્ર ૧૦ ટકા થઇ શકે ગુજરાતની તમામ પ્રજા સાંજનું ફુડ લેવા ટેવાયેલ હોય તેમજ આ ધંધો મોટે ભાગે સાંજ જ અનુકુળ હોય આમા સવારના ૮ થી રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચુસ્ત નિયમોનાં પાલન સાથે હોમ ડીલીવરી કરવાની છૂટ આપવામાં આવે તેવી માગણી કરેલ છે.

ઔદ્યોગીક એકમોને હાલ સવારના ૮ થી સાંજના ૬ વાગ્યા સુધીની છૂટ મળેલ છે. પણ ઘણા મોટા યુનિટો રાજકોટમાં હોય તેમજ તેમની પાસે પુરતો મેનપાવર હોય આવા ઉદ્યોગકારોને ટૂંકા ગાળામાં પોતાનું ઉત્પાદન કરવામાં ખુબ જ મુશ્કેલી પડતી હોય તેમજ પારાવાર નુકશાન થતુ હોય તેમજ આવા ઉદ્યોગો પાસે વિપુલ પ્રમાણમાં ડોમેસ્ટીક તેમજ એકસપોર્ટના ઓર્ડરો હોય તાત્કાલીક અસરથી આવા ઉદ્યોગોને ર૪ કલાક ચાલુ રાખવાની છૂટ આપવી જોઇએ. તેમની આપેલ પરવાનગી ઓટોમેટીક ર૪ કલાક ખુલ્લું રાખવાની પરવાનગી ગણી નવી જંજટ માંથી મુકતી મળે એટલે કે આવા ઉદ્યોગોને નવી પરમીશન લેવાની જરૂર નથી તેવી સહવિસ્તાર માગણી કરેલ છે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.

(3:32 pm IST)