રાજકોટ
News of Saturday, 23rd May 2020

લોકોને કોરોનાના કહેરથી બચાવવા એ મારા માટે અલ્લાહની ઇબાદતથી કમ નથીઃ જાવેદભાઇ પઠાણ

રાજકોટના હોટસ્પોટ જંગલેશ્વર વિસ્તારમાં ૫૬ દિવસની નિરંતર સેવા

'મે મારા રોઝા જંગલેશ્વર વિસ્તારમાં ફરજ દરમિયાન પુરા કર્યા છે. લોકોને કોરોના મુકત કરવા એ મારા માટે અલ્લાહની ઈબાદતથી કમ નથી.' આ શબ્દો છે રાજકોટ જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ અને મલ્ટિર્પપઝ હેલ્થ વર્કર જાવેદભાઈ આર. પઠાણના.

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોરોનાનો સૌથી પહેલો કેસ તા. ૧૮ મી માર્ચે જયારે રાજકોટમાં નોંધાયો ત્યારથી લઈને ૨૨ મી મે સુધી નિરંતર ૫૬ દિવસ જાવેદભાઈએ રાજકોટના હોટસ્પોટ ગણાતા જંગલેશ્વર વિસ્તારમાં કાર્યરત રહી ખડે પગે ફરજ બજાવી હતી.એટલું જ નહી હાલમાં ચાલી રહેલા પરંતુ રમજાન માસના પ્રત્યેક દિવસે રોજા રાખીને અલ્લાહની ઈબાદત સાથે માનવ માત્રની સેવાનું પુણ્ય કાર્ય પણ કર્યું હતું.

જસદણ તાલુકાના વડોદના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આંબરડી સબ સેન્ટરમાં ફરજ બજાવતાં જાવેદભાઈને રાજકોટના જંગલેશ્વર વિસ્તારના રહેવાસીઓના આરોગ્યના સર્વે કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. સાથો સાથ તેમના સાથી હેલ્થ વર્કરોનું સંચાલન પણ તેમને સોંપવામાં આવ્યુ હતું. જયાં તેઓ પોતાની ટીમ સાથે ઘરે ઘરે જઈને દરેક નાગરિકોને રોગથી બચવા ઘરથી કારણ વગર બારે ન નીકળવા માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ કરવા વગેરે જેવી મહત્વની લોકજાગૃતિ બાબતોની માહિતી આપી પ્રત્યેક વ્યકિતને આરોગ્યની તપાસ કરવા માટે પણ સમજાવતા હતા. પ્રારંભમાં તેમને ખૂબ જ તકલીફ પડતી. તેમના અનુભવ વર્ણવતા જાવેદભાઈ કહે છે કે, 'પહેલાં લોકો અમારી વાત માનતા નહીં, તેમને સમજાવવા જતા ઘણીવાર અમારે ઘણુ જ ખરૂખોટું સાંભળવું પડતુ, છતાં અમે તેમને ટેસ્ટ કરાવવા માટે સમજાવતા. ઘણા પોઝિટિવ દર્દીઓ જંગલેશ્વર વિસ્તારમાં અમને આમ જ મળ્યા. ટેસ્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે સિવિલમાં દાખલ કરવામાં આવતા અને જયારે તંદુરસ્ત થઈને તેઓ પાછા આવે ત્યારે તેઓ ખુશ થઈને અમારો દિલથી આભાર માનતા, અમને આશિર્વાદ આપતાં. આરોગ્ય કર્મીની સાથે એક માનવ તરીકે અમારૃં એક માત્ર જ ધ્યેય છે કે અમે વધુ થી વધુ આ વૈશ્વિક મહામારીથી મુકત રાખીએ.'

આ ૫૬ દિવસના કાર્ય દરમિયાન આ મલ્ટિર્પપઝ હેલ્થ વર્કરોએ સ્વખર્ચે ભંડોળ એકત્ર કરીને જંગલેશ્વર વિસ્તારના જરૂરિયાત મંદ અને ગરીબ રહેવાસીઓને જીવનાવશ્યક ચીજોની રાશન કીટ પણ આપી હતી. સાથો-સાથ દરેક રહેવાસીઓને રોગની ગંભીરતાથી માહિતગાર કરીને ઘરે રહેવા અનુરોધ કર્યો હતો. સમય જતાં જંગલેશ્વરના રહેવાસીઓનો પણ તેમને સહયોગ સાંપડ્યો હતો.

રાજકોટમાં જંગલેશ્વરનું નામ પડતાં જ સામાન્ય રીતે લોકો કોરોનાનો ભય અનુભવતા હોય છે. આવા સમયે જાવેદભાઈએ તેમની ડયુટી જંગલેશ્વરમાં આવી હોવાનું જણાવ્યું ત્યારે પ્રથમ તો તેમના પરિવારજનોએ ખચકાટ અનુભવ્યો હતો, પરંતુ જાવેદભાઈ પરિવારને આશ્વસ્ત કરીને પોતાનું કર્મ નિભાવતા હતા. આજે તેંમનો પરિવાર પણ તેમના આ કાર્યથી ખૂબ જ ગર્વ અનુભવે છે.

જાવેદભાઈએ રમજાન માસના રોજા થકી અલ્લાહની ઈબાદતમાં દર્દીઓ સાજા થાય તેવી દુઆઓ કરીને એક નેક અને પાક બંદા તરીકેની પણ નૈતિક ફરજ બજાવી છે.

:આલેખનઃ

શુભમ અંબાણી

ગુજરાત માહિતી બ્યુરો-રાજકોટ

(3:30 pm IST)