રાજકોટ
News of Saturday, 23rd May 2020

ઈદ સાદગી અને સૌહાર્દપૂર્ણ મનાવજોઃ બાવાણી- કટારીયા

મુસ્લીમ અગ્રણીઓની અપીલઃ ગળે મળવાને બદલે દિલની ઉદારતા દાખવવા અપીલ

રાજકોટ,તા.૨૩: મુસલીમ અગ્રણી  ફારૂક બાવાણી તથા હબીબભાઈ કટારીયા તરફથી સમસ્ત આલમ-એ-ઈસ્લામને આગામી ઈદ વિષે જણાવ્યું કે પ્રવર્તમાન કઠીન સંજોગોમાં આવેલ ઈદનો તહેવાર ગળે મળવાના બદલે દિલ મેળવવાનો પર્વ બનવો જોઈએ. આ વર્ષ પુરતા બીનજરૂરી નવી ખરીદી ટાળી સાદગીપૂર્ણ રીતે  ઉજવવા અપીલ કરી છે.

સમાજના,આડોશ પાડોશના,સગા સંબંધીઓમાના ગરીબ,મધ્યમવર્ગીય જરૂરતમંદો માટે દિલોમાં સંવેદના ઉત્પન્ન કરી એમની જરૂરતોને મદ્દે નજર રાખી પરસ્પરના વાદ-વિવાદ,વિખવાદ તથા ગેરસમજો એ સઘળું ભુલી ખભે ખભા મીલાવી તમામ લોકો એક ધ્યેય. એક મકસદ સાથે આવા પરિવારોને મદદરૂપ બની આગામી ઈદ મનાવવાની જરૂરત ઉપર ભાર મૂકયો હતો.

અલ્લાહ અને એના રસુલ(સલ્લલ્લાહુ અલયહી વ સલ્લમ)ને પસંદીદા સાદગી ને સદાકાળ માટે અપનાવી આગામી સમયમાં અન્ય ધાર્મિક,સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ આનો અમલ કરવા અનુરોધ કર્યો હતો.

આ અગ્રણીઓએ જણાવ્યું કે ગરીબ અને મધ્યમવર્ગીયોને સાથે રાખી ઈદ મનાવીશું તો જ આ સંજોગોમાં ઈદની ઉજવણી સાર્થક લેખાશે. તેમણે ઉમેર્યું કે ખરો આનંદ તો ત્યારે જ આવે જયારે પડનારાને ઉગારી લેવામાં આવે. મૌજુદા કપરા સંજોગોમા સંકળાયેલા તેમજ સમાજના અન્ય તમામ આગેવાનોને આગામી ઈદનો પર્વ અત્યંત સાદગી અને સલૂકાઈપૂર્વક ઉજવી કોમના જરૂરતમંદોની વ્હારે આવવા વિનંતી કરી હતી. તથા અન્યોનો ખયાલ રાખી અલ્લાહ રાજી રહે એ પ્રમાણે સાદગી અને સોહાર્દપૂર્ણ રીતે આગામી રમઝાન ઈદની સાદાઈથી ઉજવવા વિનંતી કરી હતી.

આ પહેલને સફળ બનાવતા સમસ્ત ઉમ્મતે મુસ્લિમાને વર્તમાન વિકટ સંજોગોને અનુલક્ષી આગામી રમઝાનઈદ સાદગીપૂર્ણ રીતે મનાવવા તથા તમામ સાહેબ-એ-માલ લોકોને જરૂરતમંદોની મદદ માટે આગળ આવવા ગુજારીશ કરી હતી. તમામ આલમને આ મહામારીના ભરડામાંથી મુકત કરવા પરવરદિગાર સામે આ મુબારક પર્વ નિમિત્તે દુઆ યાચવા ગુજારીશ કરી હતી.

અલાહપાક પવિત્ર રમજાન માસની બરકતોથી સવ મુસલિમ બિરાદરોના રોજા, નમાઝ, તરાવિહ, જકાત, સદકા, ફિત્રા, ખૈરાત, સહિતની ઈબાદતને કબુલ ફરમાવે. તેમ દુઆગીરો..ફારુક બાવાણી તથા હબીબ કટારીયા (મો.૯૮૨૪૪ ૧૬૦૬૯)એ જણાવેલ છે.

(3:27 pm IST)