રાજકોટ
News of Saturday, 23rd May 2020

રાજકોટમાં ઉમા જયંતિની શોભાયાત્રા આ વર્ષે કોરોનાના કારણે બંધઃ મંગળવારે ઘરે ઘરે દીપ પ્રાગટય-પ્રાર્થના

ઉમિયા પદયાત્રી પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સરકારની ગાઇડ લાઇનને સમર્થનઃ ઘરમાં જ રહેવા અપીલ

રાજકોટ તા. ર૩ : કડવા પાટીદારોના કુળદવી શ્રી ઉમિયા માતાજીની જયંતી નિમિતે શ્રી ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા હર વર્ષેની માફક આ વર્ષે આયોજીત શોભાયાત્રા વર્તમાન કોરોના વાયરસની વૈશ્વીક મહામારીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મોકુફ રાખવામાંં આવેલ હોવાનું ટ્રસ્ટની  એક યાદીમાં જણાવાયું છે.

કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીની જયંતિ નિમિતે રાજકોટ શહેરમાં ઉમિયા પદયાત્રીક પરિવાર દ્વારા ઉમિયા માતાજીના રથ સાથેની જાજરમાન શોભાયાત્રા હર વર્ષે રાજકોકટના વિવિધ વિસ્તારોમાં મા ઉમિયાના જય ઘોષ સાથે નીકળે છે. બહોળી સંખ્યામાં ભાવિકો મા ઉમિયાના દર્શનનો લ્હાવો લે છે. પરંતુ પ્રવર્તમાન કોરાના વાયરસની ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખી સરકારની ગાઇડ લાઇન્સનું ચુસ્ત પણે અમલ કરી જન મેદની એકઠી ન થાય સોશ્યલ ડીસ્ટન્સીંગનો ભંગ ન થાય તે માટે જનહિતને ધ્યાને રાખી સંસ્થાના હોદેદારો દ્વારા આ વર્ષની ઉમા જયંતિ નિમિતે યોજાનાર શોભાયાત્રા મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઘરમાંં રહો...સુરક્ષીત રહો...એ ગાઇડલાઇન્સનું પાલન કરી જગત જનની મા ઉમિયાની જન્મ જયંતિ જેઠ સુદ ચોથને તા.ર૬ને મંગળવારના રોજ સમગ્ર વિશ્વમાં વસતા તમામ પાટીદાર પરિવારો સાંજે ૭-૩૦ કલાકે પોતાના ઘરમાં ઘરમંદિરે દિપ પ્રગટાવી મા ઉમિયાને પ્રાર્થના કરી મા ઉમિયાની જન્મ જયંતિની ઉજવણી કરે તેવી અપીલ ઉમિયા પદયાત્રીક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઇ મણવર, ઉપપ્રમુખ અતુલભાઇ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઇ ઉકાણી, સહમંત્રી જેન્તીભાઇ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઇ જીવાણી, ટ્રસ્ટી રાજુભાઇ ત્રાંબડીયા, કાંતીભાઇ કનેરીયા દ્વારા સમગ્ર પાટીદાર ભાઇઓ બહેનોને કરવામાં આવી છે.

(2:41 pm IST)