ગાંધીગ્રામની બજારો દરરોજ બપોર બાદ બંધ : સ્વૈચ્છિક લોકડાઉનને જબ્બર સમર્થન
રાજકોટ : કોરોના મહામારીએ ગતિ પકડતા સંક્રમણની ચેઇન તોડવા હવે સ્વૈચ્છિક લોકડાઉન ખરો ઉપાય હોવાનું સમજી અનેક વેપાર સંગઠનો બંધ પાડવા લાગ્યા છે. ત્યારે અહીંના ગાંધીગ્રામ એસ.કે. ચોક વેપારી સંગઠને પણ દરરોજ બપોરે ર વાગ્યા બાદ વેપાર ધંધા બંધ રાખવા નિર્ણય જાહેર કરી આ અંગે પોલીસનો પણ સહયોગ માંગવામાં આવ્યો હતો. આ અપીલને અનુસરીને દરેક વેપારીઓ સમર્થન આપી રહ્યા હોય તેમ ગાંધીગ્રામ એસ. કે. ચોકથી લઇને અન્ય તમામ બજારો દરરોજ બપોરે ર વાગ્યા બાદ જડબેસલાક બંધ પાડી રહી છે. માત્ર સવારથી બપોરે ર વાગ્યા સુધી જ બજારો ખુલ્લી અને બપોર બાદ સજજડ બંધ પાડવામાં આવે છે. સૌકોઇના આવા સહીયારા પ્રયાસોથી કોરોના સંક્રમણની ચેઇન તુટે અને સૌ ઝડપી સ્વસ્થ બને તેવી આશા રાખીએ. (તસ્વીર : સંદીપ બગથરીયા)