માતાજીના દર્શને જતાં કુબલીયાપરાના સાળા અને બનેવીને અકસ્માત, બનેવી વિશાલ ગોહેલનું મોત
ત્રણ સંતાનોએ પિતાની છત્રછાંયા ગુમાવીઃ સાળા વિશાલ પરમારને ગંભીર ઇજા
રાજકોટ તા. ૨૩: માંડા ડુંગરથી આગળ મહિકાના પાટીયા નજીક વિઠ્ઠલવાવ પાસે બાઇક ફૂટપાથમાં અથડાતાં કુબલીયાપરા-૫માં રહેતો વિશાલ દિલીપભાઇ ગોહેલ (દેવીપૂજક) (ઉ.વ.૩૨) અને પાછળ બેઠેલો તેનો સાળો વિશાલ ચમનભાઇ પરમાર (ઉ.વ.૩૦) બંને ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં બનેવી વિશાલ સોલંકીનું મોત નિપજ્યું હતું. બંને સાળો-બનેવી મહિકા ગામે માતાજીના દર્શન કરવા જવા નીકળ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો.
આજીડેમ પોલીસને જાણ થતાં પીએસઆઇ એમ. ડી. વાળાએ મૃતકના માતા રસિલાબેન દિલીપભાઇ ગોહેલ (ઉ.૪૫)ની ફરિયાદ પરથી વિશાલ સામે બેદરકારીથી બાઇક નં. જીજે૦૩એલજે-૬૧૩૫ ચલાવી અકસ્માત સર્જી પોતાનું મોત નિપજાવવાનો અને સાળા વિશાલને ઇજા પહોંચાડવાનો ગુનો નોંધ્યો છે.
મૃત્યુ પામનાર વિશાલ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટો હતો અને મજૂરી કરતો હતો. વિશાલને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે જેણે પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.