રાજકોટ
News of Saturday, 23rd March 2019

૨૪મી માર્ચ વર્લ્ડ ટીબી ડે

ટીબીની સમયસર યોગ્ય સારવાર કરવાથી મટી શકે છેઃ ડો.મિલન ભંડેરી

રાજકોટ, તા.૨૩: ૨૪મી માર્ચ 'વર્લ્ડ ટીબી ડે' છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ ટીબી અંગેની જનજાગૃતિ ઉભી કરવાનો તેમજ તેની સામે લડી રહેલા અગણિત આરોગ્ય કાર્યકરોના જોમ અને જુસ્સો વધારવાનો છે. જો ટીબીની સમયસર અને યોગ્ય સારવાર કરવામાં આવે તો તે સંપૂર્ણપણે મટી શકે છે. ડો.રોબર્ટ કોચ નામના જર્મન માઇક્રોબાયાલોજીસ્ટે ૨૪ માર્ચે, ૧૮૮૨ના રોજ ટીબી માટે જવાબદાર માઇક્રોબેકટેરીયમ ટયુબકર્યુલોસિસ નામના જંતુની શોધ કરી હતી તેની યાદમાં વર્લ્ડ ટીબી ડે ૨૪ માર્ચના રોજ ઉજવવામાં આવે છે. ટીબી એટલે કે ક્ષય રોગ દુનિયાભરમાં સૌથી વધુ જીવલેણ ગણવામાં આવે છે. ઇન્ફેકશન જન્ય રોગોમાં સૌથી વધુ ફેલાયેલ આ રોગ છે.

વોકહાર્ટ હોસ્પિટલના કન્સલ્ટન્ટ પલ્મોનોલોજીસ્ટ ડો.મિલન ભંડેરી જણાવે છે કે ટીબી માઇકોબેકટેરીયમ ટયુબકર્યુલોસિસ નામના જીવાણુથી થતો ચેપી રોગ છે અને પરાપૂર્વથી વિશ્વમાં જોવા મળતો આ રોગ હજુ પણ તેનો પગદંડો જમાવીને બેઠો છે. વર્લ્ડ ટીબી ડે નિમિતે દર વર્ષની એક થીમ હોય છ. આ વર્ષની થીમ છે 'ઇટસ ટાઇમ..'

ડો.ભંડેરીએ આ સંદર્ભમાં જણાવેલ હતુ કે ટીબીનો રોગ મોટે ભાગે ફેફસામાં થાય છે. જેમાં લોકોને ઉધરસ, ગળફા આવવા, અજીર્ણ તાવ, વજન ઉતરવુ, ભુખ મરી જવી જેવા લક્ષણો જોવા મળે છે. તે ઉપરાંત ટીબીના જીવાણુ ફેફસા સિવાય શરીરના કોઇપણ અંગમાં રોગ ઉત્પન્ન કરી શકે છે. વિશ્વની એક તૃતીયાંશ વસ્તીને ટીબીના જીવાણુ તેની પુરી જીંદગી દરમ્યાન ચેપ લગાડે છે. જયારે ભારતમાં તેની સંખ્યા બે તૃતીયાંશ છે પરંતુ તેમાંથી ફકત ૧૦% લોકોને જ ટીબીનો રોગ થાય છે.

ટીબીના લક્ષણોઃ લાંબા સમય સુધી ખાંસી આવવી, કફ આવવો, કફમાં લોહી આવવુ, શ્વાસ લેવામાં તકલીફ થવી, અજીર્ણ તાવ આવવો, ભૂખ ઘટી જવી, વજન ઉતરવુનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ટીબી હાડકા, મગજ, પેટ, આંતરડા અને ચામડીમાં પણ થઇ શકે છે.

ઇલાજઃ એક જ ટીબીની ઓછામાં ઓછી ૨૦ દવાઓ છે. અલગ અલગ સ્તરે કઇ દવા આપવાની છે તે નકકી કરવામાં આવે છે. ટીબી મટી શકે છે જો ખૂબ જ સાવચેતી અને નિયમિતતા સાથે પૂરા છ મહિનાનો ટીબીનો ૪ દવાનો કોર્ષ પૂરો કરવામાં આવે. સરકાર દ્વારા આ માટે સઘન પ્રયત્નો કરવામાં આવ્યા છે અને દરેક ક્ષય નિયંત્રણ કેન્દ્ર પરથી તેની સારવાર મફત આપવામાં આવે છે.

એચઆઇવી અને ટીબીઃ એચઆઇવીના દર્દીઓમાં આ રોગ ખુબ ઝડપથી અને અલગ અલગ અંગોને અસર કરતો જોવા મળે  છે તેમજ ડ્રગ રેસિસ્ટન્ટ ટીબીનું પ્રમાણ ખુબ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

ટીબીના રોગને નાથવા માટે ફકત સરકાર અને ડોકટર જ નહીં પરંતુ આપણા બધાના સહકાર અને જાગૃતિની પણ ખુબ જ જરૂર છે. 'હવે સમય થઇ ગયો છે (ઇટસ ટાઇમ) ચાલો સાથે મળીએ, આપણા વિશ્વને ટીબી મુકત બનાવીએ.

ડો.મિલન ભંડેરી

એમ.ડી (રેસ્પીરેટરી મેડીસીન) ફેલોશીપ ઇન ઇન્ટરવેન્સનલ ૫લ્મોનોલોજી ફેલોશીપ ઇન એલર્જી એન્ડ ઇમ્યુનોથેરાપી  કન્સલ્ટન્ટ ૫લ્મોનોલોજીસ્ટ વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ

(3:42 pm IST)