રાજકોટ
News of Saturday, 23rd March 2019

શનિ-રવિ રજામાં મકાન વેરો સ્વીકારાશે

મોબાઇલ ટાવર સીલીંગની કાર્યવાહી કરાતા ધડાધડ રૂ.૧.પ૦ કરોડની આવક : આજે ત્રણેય ઝોનમાં વેરા શાખા દ્વારા ૮પ લાખની વસુલાત : જૂના રાજકોટમાં ૧ર મિલ્કતને તાળા અને ૧૪ મિલ્કતને જપ્તીની નોટીસ

રાજકોટ તા. રર :.. મ્યુ. કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાએ ચાલુ નાણાકીય વર્ષ ર૦૧૮-૧૯ પુરા થવામાં હવે ૮ દિ' બાકી છે ત્યારે રરપ કરોડનો લક્ષ્યાંક પુર્ણ કરવા બાકીદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત મોબાઇલ ટાવરનો બાકી વેરો વસુલવા સીલીંગની કાર્યવાહી કરવા આજે રૂ. ૧.પ૦ કરોડની વસુલાત થવા પામી છે. જયારે જૂના  રાજકોટમાં ૧ર મિલ્કત સીલ તથા ૧૪ મીલ્કત જપ્તીની નોટીસ આપવામાં આવી છે. આવતીકાલે તા. ર૩ શનીવાર અને ર૪ માર્ચ રવિવારના રોજ વેરા વસુલાત શાખાની ઓફીસે મીલ્કત વેરો સ્વિકારવામાં આવશે તેમ તંત્રની સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યામુજબ વેરા શાખા દ્વારા લોધાવાડ ચોક, વાવડી, ગોંડલ રોડ, એસ્ટ્રોન ચોક, કેનાલ રોડ, અટીકા વિસ્તાર, ન્યુ નહેરૂનગર સહિતનાં વિસ્તારમાં બાકી વેરો વસુલવા કાર્યવાહી કરતા ૧ર મીલ્કતને સીલ અને ૧૪ મિલ્કતને જપ્તીની નોટીસ આપવામાં આવી છે.

જયારે વેસ્ટ ઝોનમાં રૂ. ૧૪ લાખ, ઇસ્ટ ઝોનમાં પ૭ લાખ અને સેન્ટ્રલ ઝોનમાં રૂ. ૧૪.ર૬ લાખની વસુલાત થવા પામી છે.

આ ઉપરાંત ઇસ્ટ ઝોનની વેરા શાખા દ્વારા રીલાયન્સ ટાવરના બાકી માંગણા સામે રૂ. ૧.૦૧ કરોડ સહિત કુલ રૂ. ૧.પ૦ કરોડની આવક થવા પામી છે.

(3:33 pm IST)