રાજકોટ
News of Friday, 23rd February 2018

તું મારી સાથે નહિ બોલે તો હું મરી જઇશ, ને તને કોઇની થવા નહિ દઉં...દલિત છાત્રાને ફસાવી જય સગરનો બળાત્કાર

બે વર્ષ પહેલા શરૂ થયેલી પ્રેમકહાનીમાં ગંભીર વણાંકઃ સગર શખ્સ અને તેને મદદ કરનાર માતા-પિતાની ધરપકડ : યુવતિને પોતાના માતા-પિતા સાથે મુલાકાત કરાવી પોતે લગ્ન કરવા માંગે છે એવી જયએ વાતો કરીઃ પણ હવે માતા-પિતાએ કહી દીધું કે તમે ચમાર છો, અમારા દિકરા સાથે તારા લગ્ન ન થાયઃ યુવતિના પિતાને પણ મારકુટ કરી ગાળો દીધાની ફરિયાદ : ચોટીલા મંદિરે લઇ જઇ સેંથીમાં સિંદુર પુરી ગાંધર્વ લગ્ન કરી કહ્યું-આજથી તું મારી પત્નિ, પણ હમણા ઘરે નહિ લઇ જઇ શકું :જયએ ગીતાનગરમાં પોતાના ઘરે અને હોટેલમાં લઇ જઇ બળજબરી કર્યાનો આરોપ

રાજકોટ તા. ૨૩: શહેરમાં બળાત્કારની વધુ એક ઘટના સામે આવી છે. કોલેજમાં અભ્યાસ કરતી ૨૦ વર્ષની યુવતિએ ગીતાનગરમાં રહેતાં સગર યુવાન વિરૂધ્ધ પોતાને લગ્નની લાલચ આપી તેની ઘરે, હોટેલમાં લઇ જઇ મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી    શારીરિક શોષણ કર્યાનો ગુનો નોંધાયો છે. આ યુવાનના માતા-પિતાએ તમે ચમાર છો, મારા દિકરા સાથે તારા લગ્ન ન થાય તેમ કહી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં એટ્રોસીટી સહિતની કલમો હેઠળ એફઆઇઆર દાખલ કરી પોલીસે સગર યુવાન અને તેના માતા-પિતાની ધરપકડ કરી છે.

બનાવ અંગે માલવીયાનગર પોલીસે યુવતિની ફરિયાદ પરથી ગોંડલ રોડ ગીતાનગરમાં રહેતાં જય કાંતિભાઇ ગોરફાડ (ઉ.૨૦) (સગર), તેના પિતા કાંતિભાઇ ભવાનભાઇ ગોરફાડ (ઉ.૫૦) અને માતા સોનલબેન કાંતિભાઇ ગોરફાડ (ઉ.૪૪) સામે આઇપીસી ૩૭૬ (૨), ૩૨૩, ૫૦૪, ૧૧૪, એટ્રોસીટીની કલમો હેઠળ કાર્યવાહી કરી છે. ભોગ બનનાર યુવતિએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું હાલ કોલેજમાં અભ્યાસ કરું છું.  બે વર્ષ પહેલા એચ.એન. શુકલા કોલેજના છોકરાઓ કોલેજ નજીક બેસતા હોઇ જેમાંથી એક છોકરો હું ઘરે જાઉ ત્યારે મારી પાછળ-પાછળ આવતો હતો. એકવાર મને ઉભી રાખેલ કહેલ કે મારું નામ જય છે અને મારે તારી સાથે મિત્રતા કરવી છે. જેથી મેં તેને ના પાડી હતી અને હું જતી રહી હતી. પણ તે સતત અવાર-નવાર પાછળ આવતો હોઇ અને મિત્રતા કરવા કહેતો હોઇ મેં ના પાડતાં તેણે એક વાર ધમકી આપેલી કે જો તું મારી સાથે ફ્રેન્ડશીપ નહિ કર તો હું મરી જઇશ અને જો તું મને હા નહિ પાડ તો હું તને મારા સિવાય કોઇની થવા નહિ દઉં . તેમ કહેતાં હું ડરી ગઇ હતી અને મેં તેને ફ્રેન્ડશીપની હા પાડી હતી. મેં તેને કહેલ કે અમે ચમાર જ્ઞાતિના છીએ. તેમ છતાં તેણે મને અપનાવેલ, એ પછી અમે એક બીજાને પ્રેમ કરવા માંડ્યા હતાં. બાદમાં છએક મનિા સુધી અમે એક બીજા સાથે ફોનમાં વાતચીત કરી હતી.

એ પછી મેં જયને કહેલ કે મારે તારા મમ્મી પપ્પાને મળવું છે, તું મને તારા ઘરે  લઇ જા. જેથી તે ગીતાનગરમાં તેના ઘરે મને લઇ ગયો હતો. જ્યાં તેના માતા સોનલબેન અને પિતા કાંતિભાઇ બંને હાજર હતાં. જયએ બંનેની હાજરીમાં તે મને પ્રેમ કરે છે અને લગ્ન કરવા છે તેવી વાત કરી હતી. તે વખતે તેના મમ્મી પપ્પાએ કોઇ વાંધો નહિ, થોડા વર્ષ પછી લગ્ન કરી દઇશું તેમ કહ્યું હતું. આ વાતના થોડા દિવસ પછી જય ફરીથી મને તેના ઘરે લઇ ગયો હતો અને અમે એક રૂમમાં જતાં તેણે અડપલા શરૂ કર્યા હતાં. મેં ના પાડતાં તેણે કહેલ કે તારી સાથે જ લગ્ન કરીશ. એ પછી શારીરિક સંબંધ બાંધ્યો હતો અને આ અંગે મેં તેના માતા-પિતાને પણ વાત કરી હતી.

આજથી સાતેક મહિના પહેલા જય મને બે વખત તેજપેલેસ હોટલ ખાતે લઇ ગયેલ અને ત્યાં પણ બે વખત મરજી વિરૂધ્ધ સંબંધ બાંધ્યો હતો. હું તેને અવાર-નવાર પુછતી કે મારી સાથે લગ્ન કરીશ ને? તો એ દર વખતે કહેતો કે હા લગ્ન તો તારી સાથે જ કરીશ. આ પછી આજથી દોઢેક માસ પહેલા જય મને ચોટીલા લઇ ગયો હતો. ત્યાં દર્શન કર્યા કરી માતાજીની સાક્ષીમાં મારી સેંથીમાં સિંદુર પુરી મારી સાથે લગ્ન કરી લઇ કહેલ કે આજથી તું મારી પત્નિ છો, પણ અત્યારે તને ઘરે નહિ લઇ જઇ શકું. ત્યારબાદ અમે બંનેએ મોબાઇલમાં સેલ્ફી ફોટા પણ પાડ્યા હતાં. હવે છેલ્લા એકાદ મહિનાથી જયએ મને ફોન કરવાનું ઓછુ કરી નાંખ્યુ છે. તેના મમ્મી પપ્પાને મળવા હું તેના ઘરે જતાં તેઓએ કહેલ કે તમે હરિજન ચમાર છો, મારા દિકરાના લગ્ન તારી સાથે જઇ શકે નહિ. અમે તો જયને આજ સુધી સમજાવતા હતાં કે આ લગ્ન ન થઇ શકે. તેમ કહી લગ્નની ના પાડી દીધી હતી. મારા પિતાને આ બાબતે વાત કરતાં તેણે પણ જયના માતા-પિતાને વાત કરી હતી. પણ એ લોકોએ અમે તમારા ઘરે પણ ન આવીએ, અમારા દિકરાના લગ્ન નથી કરવા તેમ કહી મારા પિતાને ગાળો આપી હાથ ઉપાડી લીધો હતો. અંતે અમે માલવીયાનગર પોલીસ મથકે જઇ ફરિયાદ કરી છે.બનાવ અંગે ઇન્ચાર્જ પી.આઇ. આર. એ. જાડેજા, રાઇટર પરેશભાઇ જારીયા અને જાવીદભાઇ રિઝવી તથા અરૂણભાઇ બાંભણીયા, જયવિરસિંહ સહિતે ગુનો નોંધી જય અને તેના માતા-પિતા એમ ત્રણેયને સકંજામાં લઇ ધરપકડની કાર્યવાહી કરી છે. નાયબ પોલીસ અધિક્ષક એચ. બી. મહેતાની રાહબરી હેઠળ વિશેષ તપાસ થઇ રહી છે.

(4:00 pm IST)