રાજકોટ
News of Tuesday, 22nd November 2022

વિકાસ મંત્ર સાથે નરેન્‍દ્રભાઇનાં સ્‍વપ્‍નને સાકાર કરવા બ્રહ્મસમાજે નિર્ધાર કર્યોઃ રામભાઇ મોકરીયા

ભાજપના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે. પી. નડ્ડાની રાજયસભાના સાંસદ સાથે વિવિધ મુદ્દે ચર્ચા

રાજકોટ તા. ર૧: રાજકોટની વિવિધ વિધાનસભા વિસ્‍તારોમાં જાહેર સભા તેમજ મહાનગર અને જીલ્લાના પદાધિકારીઓ સાથેની બેઠકોમાં ઉપસ્‍થિત રહેવા ભારતીય જનતા પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે. પી. નડ્ડા રાજકોટ આવ્‍યા હતા. આ તકે જે. પી. નડ્ડાએ રાજયસભાના સાંસદ અને બ્રહ્મ કમિટિના ચેરમેન રામભાઇ મોકરીયા સાથે તેમના નિવાસસ્‍થાને શુભેચ્‍છા મુલાકાત કરેલ હતી.જે. પી. નડ્ડા દ્વારા રામભાઇ મોકરીયા સાથે સૌરાષ્‍ટ્રની વિધાનસભા સીટ પર પાર્ટીના પ્રચાર-પ્રસાર અને વિવિધ મુદ્દાઓ પરત્‍વે ચર્ચા-પરામર્શ થયો હતો. ત્‍યારે સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્‍ય વિજય થાય અને તેમાં બ્રાહ્મણોનું મહત્‍વનું યોગદાન રહે તે માટે સૌરાષ્‍ટ્રમાં સાંસદ રામભાઇ મોકરીયા દ્વારા બ્રહ્મસમાજના આગેવાનોને જવાબદરી સોંપવામાં આવી રહી છે.

તે અંતર્ગત રાજકોટ મહાનગરની ચારેય વિધાનસભામાં પણ બ્રાહ્મણોને જવાબદારી સોંપી માઇક્રોપ્‍લાનીંગ સાથે આયોજન કરાય છે તે અંતર્ગત સાંસદ રામભાઇ મોકરીયાએ પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ જે. પી. નડ્ડાને રાજકોટ તેમજ સૌરાષ્‍ટ્રની વિધાનસભા સીટ અંતર્ગત ચર્ચા-વિચારણા કરી વિસ્‍તૃત માહિતી આપી હતી.

રામભાઇ મોકરીયાએ જણાવેલ કે ભારતીય જનતા પાર્ટીની સ્‍થાપનાકાળથી જ બ્રાહ્મણોનું મહત્‍વનું યોગદાન રહ્યું છે. ત્‍યારે ભારત માતા પરમ વૈભવના શિખર પરમ પહોંચે અને દેશ નરેન્‍દ્રભાઇ મોદીના નેતૃત્‍વમાં વિશ્‍વ ગુરૂ બને અને ત્‍યારે સૌનો સાથ અને સૌનો વિકાસના મંત્ર સાથે નરેન્‍દ્રભાઇ મોદીનું સપનું સાકાર કરવા માટે સમગ્ર ગુજરાતવાસીઓ એક થઇ ભારતીય જનતા પાર્ટીને ભવ્‍ય વિજય આપવા માટે કટીબધ્‍ધ બન્‍યા છે. આ મહાયજ્ઞમાં ગુજરાતના બ્રાહ્મણો પણ જોડાઇ ગુજરાતની વિકાસ યાત્રાના આગળ ધપાવવા સહભાગી બની ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડી ભવ્‍ય વિજય અપાવશે એવો નિર્ધાર વ્‍યકત કર્યો હતો.

(3:29 pm IST)