રાજકોટ
News of Friday, 22nd November 2019

મંગેતરે સગાઇ તોડી નાંખવાની વાત કરતાં નેહા બોરીચાએ ગળાફાંસો ખાઇ જીવ દીધો

પેડક રોડ પર વાલ્મિકી આવાસ યોજના કવાર્ટરના વાલ્મિકી પરિવારમાં બનાવ : બે ભાઇની એકની એક બહેન હતીઃ પરસાણાનગરના યુવાન સાથે સગપણ થયું હતું: પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૨૨: પેડક રોડ પર આવેલી વાલ્મિકી આવાસ યોજના કવાર્ટરમાં ત્રીજા માળે રહેતી નેહા નિર્મલભાઇ બોરીચા (ઉ.૧૭) નામની વાલ્મિકી યુવતિએ પંખામાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. આપઘાત કરનારના બનેવી રવિભાઇ રામજીભાઇ જેઠવાએ એવું કહ્યું હતું કે નેહાની સગાઇ પરસાણાનગરના પ્રકાશ (લવલી) ગોવિંદભાઇ પરમાર સાથે થઇ હતી. તેણે હવે સગાઇની ના પાડી દેતાં માઠુ લાગી જતાં નેહાએ આ પગલું ભર્યુ છે.

આપઘાત કરનાર નેહા બે ભાઇની એકની એક વચેટ બહેન અને માતા-પિતાની લાડકી દિકરી હતી. નેહાના પિતા છુટક મજૂરી કરે છે અને માતા નયનાબેન સફાઇ કામ કરે છે. બનેવી રવિભાઇએ વિગતો આપતા જણાવ્યું હતું કે નેહાની સગાઇ પ્રકાશ કે જેને લવલી તરીકે બધા ઓળખે છે તેની સાથે થઇ હતી અને સગાઇ બાદ પાંચ વર્ષમાં લગ્ન કરવા એવી બોલી થઇ હતી. પરંતુ ત્રણેક દિવસ પહેલા નેહા અને પ્રકાશ વચ્ચે કોઇ બાબતે ચડભડ થઇ હતી. ત્યારે નેહાએ તેના મમ્મીને વાત કરી હતી કે પ્રકાશ સગાઇ તોડી નાંખવાની વાત કરે છે. આથી આ અંગે પ્ર.નગર પોલીસમાં અરજી કરવામાં આવી હતી.

ગઇકાલે સુખસાગર સોસાયટીમાં સગાના લગ્ન પ્રસંગનો જમણવાર હોઇ નેહાએ માતા-પિતા સહિતને ત્યાં મોકલી પોતે પાછળથી આવે છે તેમ કહ્યું હતું. પણ તે ત્યાં પહોંચી નહોતી. કાકા સહિતના સ્વજનો ઘરે આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હોઇ ધક્કા મારતાં સ્ટોપર ખુલી ગઇ હતી અને અંદર નેહા લટકતી જોવા મળી હતી. ૧૦૮ને બોલાવાઇ હતી. પરંતુ તેના ડોકટરે નેહાને મૃત જાહેર કરી હતી. બનાવથી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. એએસઆઇ સુધાબેન પાદરીયા અને અશ્વિનભાઇ રાઠોડ વધુ તપાસ કરે છે.

(1:00 pm IST)