ઇસ્લામ ધર્મ કોમી એખલાસ અને ભાઇચારાથી ફેલાયેલો ધર્મઃ મૌલાના સાહેબ
મુસ્લિમોએ દેશના વિકાસ-ભાઇચારાની દુઆ માાંગીઃ આભાર માનતા હાજી યુસુફભાઇ જુણેજા
રાજકોટઃ તા.૨૨, સમગ્ર જગતને શાંતિ-અમન અને ભાઇચારાની ભાવનાનો સંદેશ આપનાર ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક હઝરત મહંમદ પયગમ્બર સાહેબ (સ.વ.અ.) વિલાદત પર્વ ઇદે મિલાદની રાજકોટમાં મુસ્લિમ સમાજ દ્વારા કોમી એખલાસ અને ભાઇચારાના સંદેશો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
દેશમાં એકતા ભાઇચારો, શાંતિ તથા વિકાસ માટે દુઆએ ખૈર કરી હતી. રેસકોર્ષ ખાતે યોજાયેલ સામુહીક જમણવારમાં ૫૦ થી ૬૦ હજાર લોકોએ વેજીટેરીયન ન્યાજનો લાભ લીધો હતો. આ પ્રસંગે જુદી-જુદી સમાજની સંસ્થાઓ, વ્હોરા સમાજના અગ્રણીઓએ પણ જુલુસનો તથા રેસકોર્ષ ખાતે ઇદ નિમિતે હાજરી આપી આલીમેદીન મૌલાના સાહેબોએ પોતાની જોશીલી ધારદાર તકરીરમાં ઇસ્લામ ધર્મ શુ છે? ઇસ્લામ ધર્મ તલવાર બળે નહિ, પરંતુ કોમી એખલાસથી અને ભાઇચારા ધર્મ છે. પયગમ્બર સાહેબ કોઇ એક ધર્મના નહિ, પરંતુ સમગ્ર જગતના રહેમતુલલીત આલઅમીન હતા. ઇસ્લામ ધર્મ દરેક ધર્મને આદર્શ, ઇજજત, અને સન્માન આપવાનું સુચવે છે. તેઓએ સરકારની બેટી બચાવો અને બેટી પઢાઓની જાહેરાતને આવકારતા જણાવ્યું હતુ કે ૧૪૦૦ વર્ષ પહેલા ઇસ્લામ ધર્મે બેટીઓને માન-પાન અને સન્માન, ઇજજત આપવાનુ શીખવેલ છે.
આ પ્રસંગે કાયદો અને વ્યવસ્થાની સુંદર જાળવણી બદલ પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ તથા ડી.સી.પી. શ્રી મનોજસિંહ જાડેજાને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જાહેર આભાર માનવામાં આવેલ. તેમજ સહયોગ આપનાર તમામ હિન્દુ-મુસ્લિમ બિરાદરોનો યૌમુન્નબી કમીટીના પ્રમુખ અલ્હાજ હાજી યુસુફભાઇ જુણેજા તથા તેની કમીટીએ જાહેર આભાર વ્યકત કરેલ.