વિદેશી માલ વિરુદ્ઘ સ્વદેશી : ગઢ જીતવો મુશ્કેલ પણ કાંગરા ખેરવી શકાય!
ચાઇના સામેના જેન્યુઇન વિરોધ અને કોવિડ ઈફેકટ પછી આત્મનિર્ભર અને સ્વદેશી મૂવમેન્ટ (સોશ્યલ મીડિયા પર વધુ) શરૂ થઇ છે પણ સવાલ એ છે કે - આ સંઘ કાશીએ પહોંચશે ખરો?
શકયતા નહિવત્ છે અને એમાં નિમિત્ત્। આપણા જેટલી જ આપણી સરકાર અને તેની કામ કરવાની ઢબછબ પણ જવાબદાર છે... ચાઇનાની જ વાત કરીએ તો તેના જેટલી સસ્તી વસ્તુ પેદા કરવા માટે સો ટકા સરકારનો દરેક લેવલ પર સપોર્ટ જરૂરી છે. ચાઇના જેવા કાયદા, સુવિધા, વર્ક રૂલ અને દુનિયાને દેખાડી દેવાનું ઝનૂન સરકારમાં ન હોય તો એકેય ઉત્પાદક ખાસ ઉકાળી ન શકે. તેની પ્રોડકટ(ચાઇના કરતાં) મોંઘી જ બનવાની !
હવે અન્ય વિદેશી પ્રોડકટ ની વાત કરીએ.સોની, એપલ, સેમસંગ, ઓઉઙી કે એવી કોઇપણ પ્રોડકટ જેવી કવોલિટી અને બ્રાન્ડ વેલ્યુ પણ ભારતીય પ્રોડકટ બનાવી શકે, એ બહુ દૂરની વાત છે. અરે, કોકાકોલા કે પેપ્સી જેવું બ્રાન્ડિગ/માર્કેટિંગ પણ કયાં થઇ શકયું છે હજુ સુધી.
મતલબ, એ હરિફાઈ પણ ટફ તો છે જ. તમે જો સસ્તી છતાં સારી પ્રોડકટ સરળતાથી ઉપલબ્ધ કરાવી શકો તો પરિણામ મળી જ શકે છે. બાલાજી વેફર કે નિરમા - તેનું ઉદાહરણ છે પણ... યાદ રાખજો કે
બાલાજી/નિરમા કે મોરબીની ધડિયાળ/ સિરામિક જેવી અનેક સ્વદેશી બ્રાન્ડે 'સ્વદેશી' કે 'આત્મનિર્ભર' ની દુહાઇ દઇને સફળતા નથી મેળવી !!!
આ પોલિસી લોકલ સ્તર પર બને તો જ ચાઇનીઝ યા ઓનલાઇન વેપાર કરતી એમેઝોન જેવી પેઢીને ટક્કર આપી શકાય.
માની લો કે ચાઇના પ્રત્યેના તિરસ્કારથી લોકો થોડી મોંઘી સ્વદેશી વસ્તુઓ અત્યારે ખરીદી લેશે પણ... એ લાંબું ચાલવાનું નથી !
ગ્રાહક હંમેશા પોતાનો ફાયદા જૂએ છે - એ વાણિજય મંત્ર ધ્યાનમાં રાખો તો કિશોર બિયાનીની જેમ ' બિગ બાઝાર' બની શકે અને તો જ મૂકેશ દાદાનું 'જીયો' ૩૬ કરોડથી વધુ ભારતીય સુધી પહોંચી શકે. ટકવાની આ એક જ ફોર્મ્યુલા છે.
સૌથી સસ્તું અને શ્રેષ્ઠ નહીં તો ઉત્ત્।મ તો ખરું જ ! હું કે તમે કયાં સુધી દેશભાવનાના નામે ચાર રૂપિયા મોંઘી ટૂથપેસ્ટ યા સાબુ યા બુકસ યા કોમ્પ્યુટર દુકાનદાર સુધી લાંબા થઇને ખરીદવા જઇશું ? આખરે તો ગ્રાહકનું ફોકસ તો તેના ગજવાંની હેસિયત પર જ રહેવાનું !
દુકાનદાર બિચારાં બનીને વેપાર માંગતા રહે, એ ગ્લોબલાઇઝેશનના યુગમાં પ્રેકટિકલ નથી. ઓનલાઇન ખરીદીમાં મળતાં ડિસ્કાઉન્ટ, સુવિધા, સર્વિસ (ન ગમે તો પાછું) આપવાની બદલે દુકાનોમાં તો 'એક જ ભાવ' અને 'વેચેલો માલ પાછો લેવામાં આવશે નહીં' ના બોર્ડ લગાવેલાં હોય છે. પહેલાં તો એ ઉતારી લેવા પડે. હવે જોકે 'પુજારા' કે 'વિજય ઇલેકટ્રોનિકસ' જેવા વિઝનરી બિઝનેસમેન 'ઓનલાઇન સસ્તું' કહેતી જાહેરાત કરતાં થયાં છે. આવો જ અભિગમ અન્ય લોકલ વેપારી રાખવા માંડે તો ચાઇના/વિદેશી/ઓનલાઇન બિઝનેસના થોડાં કાંગરા ખેરવી શકાય, ગઢ જીતવાની વાત તો ભૂલી જવામાં જ સાર છે કારણકે, એ કામ માત્ર વેપારી, બિઝનેસમેન કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટનુ જ નથી. સરકારી દાનત અને મશિનરી વગર એ લડાઇ કોઇ ન જીતી શકે !
(અજંતા/ઓરેવા ગૃપના જયસુખભાઇ પટેલ ચાઇનાના જબરા અભ્યાસુ છે અને એ જ વિષય પરનું તેમનું આગામી પુસ્તક હું લખી ચૂકયો છું, આ પોસ્ટના મુદ્દા એ નોલેજ આધારિત છે !)
આ લેખન નરેશ શાહ