મોટર વ્હીકલ એકટના નવા સુધારા અને સમાધાન શુલ્ક વિશે સમજ આપવા મોટિવેશન સેમિનાર યોજાયો
પોલીસ કમિશનરના અધ્યક્ષ સ્થાને મોટિવેશન સ્પીકર શૈલેષ સગપરીયા અને બીજા અધિકારીઓએ વિસ્તૃત સમજ આપીઃ ટ્રાફિક પોલીસની કામગીરી બિરદાવાઇઃ ડીસીપી મનોહરસિંહ જાડેજા, અસીપી બી. એ. ચાવડાની સફળ જહેમત
રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા મોટર વ્હીકલ એકટમાં કરેલા સુધારા અને સમાધાન શુલ્ક અન્વયે ગુજરાત સરકારે લીધેલા નિર્ણય અંગે જાણકારી અને ટ્રાફિક નિયમન અમલીકરણ બાબતે સમજ આપવાનો તથા મોટિવેશન સેમિનાર હેમુ ગઢવી હોલ ખાતે યોજાયો હતો. જેમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ અધ્યક્ષ સ્થાને હતાં. મોટિવેશન સ્પીકર તરીકે નાયબ નિયામક શૈલેષભાઇ સગપરીયા સ્પીપાની ખાસ હાજરી રહી હતી. આ સેમિનારમાં ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી એસ.ડી. પટેલ, નિવૃત આરટીઓ જે. વી. શાહ, નિવૃત ડીવાયએસપી દિગુભા વાઘેલા, બાર એસો.ના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ટ્રાફિક શાખાના ૨૫૦ અધિકારીઓ, કર્મચારીઓ તથા પત્રકારો-કેમેરામેનો, ફોટોગ્રાફર ઉપસ્થિત રહ્યા હતાં. અધિકારીઓએ નવા કાયદાની વિસ્તૃત જાણકારી સાથે વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસે કરેલી કામગીરીને બિરદાવી હતી. પોલીસ અને પ્રજા વચ્ચેનો સેતુ જળવાઇ રહે તેવા હેતુથી કામ કરવા અધિકારીઓએ વકતવ્ય આપ્યું હતું. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી બી. એ. ચાવડાએ સેમિનારને સફળ બનાવ્યો હતો.