રાજકોટ
News of Monday, 22nd October 2018

ગાદીના ગામ ગોંડલમાં ત્રણ મુમુક્ષુ આત્માઓનું સન્માનઃ શોભાયાત્રા, જાજરમાન અભિવાદન

પૂ. ધીરગુરૂદેવના શ્રીમુખેથી મોનાલીબેન દિલીપભાઇ સંઘવી તથા પૂ. નમ્રમુનિ સમીપ ઉપાસનાબેન સંજયભાઇ શેઠ તથા આરાધનાબેન મનોજભાઇ ડેલાવાળા દિક્ષીત થશે : રાજકોટના વિવિધ સંઘો, જુનાગઢ, જામનગર, જેતપુર સહિત વિવિધ સંઘોના પ્રતિનિધિઓની વિશાળ પ્રમાણમાં ઉપસ્થિતિ...

 રાજકોટઃ તા.૨૨,  ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના ગાદીના ગામ ગોંડલમાં ત્રણ-મુમુક્ષુ આત્માઓના અભિવાદન કાર્યક્રમ શ્રી ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના ઉપક્રમે ગોંડલ સંપ્રદાય દ્રારા આયોજીત કરવામાં આવેલ.

આગામી  સમયમાં રાજકોટ ખાતે પૂ.ગુરુદેવ ધીરજમુનિ મ.સા.સમીપે સંયમ અંગીકાર કરવાના શુભ ભાવ ધરાવનાર મુમુક્ષુ મોનાલીબેન દિલિપભાઈ સંઘવી તથા રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્રમુનિ મ.સા.સમીપે દીક્ષિત થનાર મુમુક્ષુ ઉપાસનાબેન સંજયભાઈ શેઠ તથા મુમુક્ષુ આરાધનાબેન મનોજભાઈ ડેલીવાળા એમ કુલ ત્રણેય હળુ કર્મી આત્માઓનું દાદાગુરુ શ્રી ડુંગરસિંહજી મ.સા.ઉપાશ્રય, નાની બજાર ગોંડલ ખાતે રજત શ્રીફળ, શાલ વગેરે અર્પણ કરી ભવ્ય અને શાહી સન્માન કરવામાં આવેલ. આ અવસરે પૂ.તરુબાઈ મ.સ.આદિ તથા સંઘાણી સંપ્રદાયના પૂ.ઉષાબાઈ મ. આદિ સતિવૃંદનું પાવન સાનિધ્ય પ્રાપ્ત થયેલ.

રવિવારના સવારના સોનેરી સૂર્યોદયે હરેશભાઈ જમનાદાસ દોશી પરિવાર આયોજીત શાતાકારી નવકારશીનો અનેક ભાવિકોએ લાભ લીધેલ. ગુરુભકત વિજયભાઈ દોશી (કાનાભાઈ)ના નિવાસ સ્થાનેથી દીક્ષાર્થીઓની ભવ્ય શોભાયાત્રા પ્રભુ મહાવીરના ત્યાગ માર્ગના જય જયકાર સાથે ગોંડલ શહેરમાં નીકળેલ. આ અવસરે રાજકોટ,જામનગર,જેતપુર,જુનાગઢ સહિત વિવિધ સંઘોના અગ્રણીઓ તથા વિશાળ પ્રમાણમાં ભાવિકો ત્યાગ માર્ગની ભૂરી - ભૂરી અનુમોદના કરવા ઉપસ્થિત રહેલ.

અભિવાદન સમારોહમાં ગોંડલ સંઘના મંત્રી દિલીપભાઈ પારેખે ઉપસ્થિતિ દરેકનું ભાવવાહી શબ્દોથી સ્વાગત કરેલ.ગોંડલ સંપ્રદાય શ્રમણ સંરક્ષક સમિતિના પ્રવિણભાઈ કોઠારી, ચંદ્રકાન્તભાઈ શેઠ, ઈશ્વરભાઈ દોશી,સુરેશભાઈ કામદાર તથા દિલીપભાઈ પારેખ સમિતિના પાંચેય સદ્દસ્યોએ મુમુક્ષુ આત્માઓને આજ્ઞા પત્ર અર્પણ કરતાં કહ્યું કે ગોંડલ સંપ્રદાય અને જિન શાસનનું નામ ઉજ્જવળ કરજો. ગોંડલ લુક એન લર્નના બાળકોએ નૃત્ય દ્રારા સુંદર મજાના ભાવોની પ્રસ્તુતિ કરેલ. મહિલા અગ્રણી જયશ્રી બેન શાહ તથા વીણાબેન શેઠે પોતાના ભાવો વ્યકત કરેલ. ઈન્દ્રપ્રસ્થનગર સ્થા. જૈન સંદ્યના અગ્રણીઓએ પ્રવિણભાઈ કોઠારી તથા નવકારશી અને સ્વરૂચિ ભોજનના દાતાઓનું બહુમાન કરવામાં આવેલ.

ત્રણેય મુમુક્ષુ આત્માઓએ પ્રભુ મહાવીરના ત્યાગ માર્ગની મહત્ત્।ા સમજાવી સંયમ માર્ગની ભૂરી - ભૂરી અનુમોદના કરવા તથા દીક્ષા પ્રસંગમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવા નિમંત્રણ પાઠવેલ. પૂ.તરૂબાઈ મ.એ ફરમાવ્યુ કે જે સંયમ ધર્મને દેવલોકના અસંખ્ય દેવો ઝંખે છે. દેવતાઓને પણ દૂર્લભ એવો મહા મૂલો સંયમ ધર્મ આ ત્રણેય મુમુક્ષુઓને મળી રહ્યો છે. દાદા ગુરુ ડુંગર દરબારમાં પ્રવેશ મેળવી જિન શાસન, ગોંડલ ગચ્છની ગરીમા અને ગૌરવ વધારજો.ગુરુની  આજ્ઞા પાળશે કોણ? દીક્ષાર્થી...દીક્ષાર્થી, ગુરુકૂળને શોભાવશે કોણ ? ગોંડલ ગચ્છનું ગૌરવ કોણ? દીક્ષાર્થી...દીક્ષાર્થી સમારોહ મધ્યે સંયમ પ્રેરિત નાદ અને નારાઓથી ગોંડલ ગૂંજી અને ગાજી ઉઠ્યું હતું. સંઘાણી સંપ્રદાયના પૂ.મહાસતિજીએ મંગલ પાઠ-માંગલિક માંગલિક ફરમાવેલ. રઘુવંશી પરિવારના ગોંડલ નિવાસી ઉદાર દિલા અનિલભાઈ ઉનડકટ પ્રેરિત શાતાકારી સ્વરૂચિ ભોજનનો અનેક ભાવિકોએ લાભ લીધેલ. સમગ્ર અભિવાદન સમારોહનું સંચાલન મનોજ ડેલીવાળાએ કરેલ તેમ ગોંડલ સંઘની યાદિમાં જણાવાયું છે. (૪૦.૯)

(3:57 pm IST)