પડધરી પાસે રિક્ષા પલ્ટી જતાં રાજકોટ રસુલપરાના મુસ્લિમ પરિવારના ૭ને ઇજા
લતીપર સિમંત પ્રસંગ પતાવી પરત આવતી વખતે બનાવ
રાજકોટ તા. ૨૨: પડધરી નજીક ખોડિયાર હોટેલ પાસે રિક્ષા પલ્ટી મારી જતાં રાજકોટ કોઠારીયા સોલવન્ટ પાસેના રસુલપરામાં રહેતાં મુસ્લિમ પરિવારના ચાર બાળકો સહિત સાતને ઇજા થઇ હતી. સિમંત પ્રસંગમાં બધા લતીપર ગયા હોઇ ત્યાંથી રાજકોટ આવતી વખતે રસ્તામાં અકસ્માત નડ્યો હતો.
જાણવા મળ્યા મુજબ પડધરીની ખોડિયાર હોટેલ નજીક ઓચીંતુ રોડ પર કોઇ વાહન આવી જતાં રિક્ષા ચાલકે કાબૂ ગુમાવતાં રિક્ષા પલ્ટી મારી જતાં તેમાં બેઠેલા કોઠારીયા સોલવન્ટ રસુલપરાના મુમતાઝબેન અબ્દુલભાઇ દલ (ઉ.૪૫), રૂબીનાબેન હુશેનભાઇ જુણેજા (ઉ.૪૮), શાહીના મહમદ બુકેરા (ઉ.૨૬), સુહાના ફારૂકભાઇ સોબડા (ઉ.૪), અસ્પાક હકીમભાઇ બુકેરા (ઉ.૧૬), શહેનાઝ સુલતાનભાઇ દલ (ઉ.૮) અને સાહિલ સુલતાનભાઇ દલ (ઉ.૧૨)ને ઇજાઓ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે પડધરી પોલીસને જાણ કરી હતી. મુમતાઝબેનના સગાને લતીપર ગામે સિમંત પ્રસંગ હોઇ બધા ત્યાં ગયા હતાં. ત્યાંથી રિક્ષામાં પરત રાજકોટ આવતી વખતે આ બનાવ બન્યો હતો.